Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કોલ ડ્રોપ્સ પ્રકરણમાં કારણદર્શક નોટિસનો સંતોષકારક જવાબ ન આપનાર ટેલિકોમ કંપનીઓને પેનલ્ટી ભરવી પડશે

નવી દિલ્‍હીઃ TRAIના જણાવ્યા અનુસાર કંપનીઓ કોલની ગુણવત્તા માટે નિર્ધારિત બેન્ચમાર્કને સંતોષવામાં નિષ્ફળ રહી છે. ઓક્ટોબર અને ડિસેમ્બરમાં કોલ ડ્રોપ્સના આધારે નિયમનકર્તા દંડનાત્મક પગલાં લેવાની યોજના ધરાવે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સત્તાવાળાએ તમામ ટેલિકોમ કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારી હતી.

તેમના જવાબ આવ્યા છે. સંતોષકારક જવાબ નહીં આપનારને નાણાકીય પેનલ્ટી કરવામાં આવશે. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કેટલાક સર્કલ્સમાં નિર્ધારિત બેન્ચમાર્કનું પાલન નહીં કરનારી ટેલિકોમ કંપનીઓ પર આંતરિક રીતે કરોડોની પેનલ્ટી સૂચવવામાં આવી છે.

સંભવિત પેનલ્ટી અથવા નાણાકીય અંકુશને કારણે ટેલિકોમ સેક્ટર અને TRAI વચ્ચે વધુ એક વખત ઘર્ષણની શક્યતા છે. અગાઉ 2015 કોલ ડ્રોપ બાબતે TRAI અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે ઘર્ષણ થયું હતું.

એ વખતે TRAIએ કંપનીઓને દરેક કોલ ડ્રોપ માટે યુઝર્સને વળતર આપવા જણાવ્યું હતું, પણ ટેલિકોમ કંપનીઓની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે નિયમ રદ કર્યો હતો. ત્યાર પછી TRAIએ ગયા વર્ષે પહેલી ઓક્ટોબરથી અમલી બને એ રીતે સર્વિસની ગુણવત્તા માપવા કડક નિયમ જારી કર્યા હતા. જેમાં નિયમનું પાલન નહીં કરવા બદલ ટેલિકોમ કંપની પર ત્રિમાસિક ગાળામાં ₹1 લાખથી ₹5 લાખની પેનલ્ટી નિર્ધારિત કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2018થી ત્રણ મહિનાના ગાળામાં પેનલ્ટી માટે ₹10 લાખની ટોચમર્યાદા નિર્ધારિત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા સેલ્યુલર અને રિલાયન્સ જીઓ સહિતની કંપનીઓએ ઓક્ટોબર-ડિસેમ્બર 2017નો કોલ ડ્રોપ ડેટા સુપરત કર્યા પછી ટેલિકોમ કંપનીઓને માર્ચના પ્રારંભે નવી ક્વોલિટી ઓફ સર્વિસ (QoS) હેઠળ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ QoSના નવા નિયમને વધુ કડક ગણાવ્યા છે.

ગયા મહિને તેણે જણાવ્યું હતું કે, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓએ ટેમ્પોરલ અને સ્પેટિયલ બંને માપદંડના આધારે નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે. જ્યારે વોડાફોને ટેમ્પોરલ ધોરણોનું સંપૂર્ણ અને સ્પેટિયલ નિયમોનું મહદ્ અંશે પાલન કર્યું છે. આઇડિયા કેટલાંક સર્કલ્સમાં બંને માપદંડના પાલનમાં સાધારણ નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોલ ડ્રોપની બાબતમાં ટેલિકોમ ઉદ્યોગ એક તરફ હતો. જ્યારે સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું.

(7:00 pm IST)