Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

આંદામાન - નિકોબાર ટાપુ પર ફાઇટર ગોઠવાશે

ચીનને ચૂંક ઉપડે તેવો નિર્ણયઃ બીજા વિશ્વયુધ્ધ બાદ ભારતનો મોટો નિર્ણયઃ ફાઇટર પ્લેન તૈનાત થશે

નવી દિલ્હી તા. ૯ : બીજા વિશ્વયુદ્ઘ બાદ પ્રથમવાર ભારતે ચીનનો મુકાબલો કરવા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ફાઈટર જેટ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. ફાઈટર જેટ તહેનાત કરીને અંદમાન અને નિકોબાર ટાપુઓના મલક્કા, સુંદા, લુમ્બોક અને ઓમ્બઈ વેતાર વિસ્તાર ઉપરાંત હિંદ મહાસાગરના પશ્ચિમ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો ભારતનો પ્રયાસ છે. મહત્વનું છે કે, બીજા વિશ્વયુદ્ઘ બાદ આ પ્રથમ ઘટના બનશે જયારે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ફાઈટર જેટ તહેનાત કરવામાં આવશે.

મલક્કા, સુંદા અને લુમ્બોક સાંડકા સમુદ્રી રસ્તાઓ છે જે હિંદ મહાસાગરને દક્ષિણ ચીન સાગર સાથએ જોડે છે. વિશ્વ વ્યાપારનો ૭૦ ટકા વ્યાપાર આ સાંકડા સમુદ્રી માર્ગ પરથી થાય છે. ગત કેટલાંક વર્ષો દરમિયાન વધુમાં વધુ ચીની યુદ્ઘ જહાજો, સબમરીન અને પરમાણુ સબમરીન ભારતના સમુદ્રી વિસ્તારમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સમુદ્રી વિસ્તારમાં ચીન તેનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરી રહ્યું છે.

હાલમાં જ ઈન્ડિયન નેવીએ ભારતીય સમુદ્રી વિસ્તારમાં ઘુસેલા ચીની યુદ્ઘ જહાજનો ફોટો ટ્વીટ કરીને બિજીંગને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઈન્ડિયન નેવી ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. વિતેલા સમયમાં આક્રમક થયેલા ચીન સામે અંદમાન-નિકોબાર ચેન લાઈનને ડિફેન્સ લાઈન તરીકે તૈયાર કરવાની કેન્દ્ર સરકારની યોજના છે. જેને અમલમાં મુકવા માટે મોદી સરકાર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

અંદમાન અને નિકોબાર ટાપુ પ્રદેશમાં સુરક્ષા વધારવાનો નિર્ણય એ સમયે કરવામાં આવ્યો, જયારે ગત મહિને પીએમ મોદી એને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગ વચ્ચે અનઔપચારિક ચર્ચા બાદ બન્ને દેશોએ ૩૪૮૮ કિમી લાંબી અને વિવાદીત નિયંત્રણ રેખા ઉપર પોતાની સેનાને શાંતિ જાળવી રાખવા પર ભાર મુકયો હતો.

(4:00 pm IST)