Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોદીના એ ૫ મોટા નિર્ણયો : જેણે બદલી રાજકારણની દિશા

કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગ માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે

નવી દિલ્હી તા. ૮ : વડા પ્રદાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત બિનઅનામત વર્ગ માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે. સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ આમ જનતાના સામાજિક આર્થિક જીવન પર અસર નાખતા અનેક મોટા નિર્ણય લીધા છે. પીએમ મોદીના આ આકરા નિર્ણયો એવા સમયે લીધા જેના કારણે ભાજપને નુકસાન થઈ શકે એમ હતું, પરંતુ તેમણે રાજકીય ફાયદાને નજરઅંદાજ કરીને આ નિર્ણય લીધા હતા. જૂઓ નરેન્દ્ર મોદીના પાંચ મોટા નિર્ણય, જેના કારમે રાજકારણની દિશા બદલાઈ ગઈ....

આર્થિક આધારે સવર્ણોને  ૧૦ ટકા અનામત

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની કેબિનેટે આર્થિક રીતે પછા તમામ ધર્મના સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયને મંજૂરી મળ્યા બાદ મંગળવાર(૮ જાન્યુઆરી)ના રોજ આ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરાશે. એવું કહેવાય છે કે, સવર્ણોને આપવાની આ અનામતના નિર્ણય માટે કેન્દ્ર સરકાર બંધારણમાં સંશોધન ખરડો લાવશે. અનામતને બંધારણિય માન્યતા આપવા માટે બંધારણની ધારા ૧૫-૧૬માં ફેરફાર કરવાનો રહેશે. બિનઅમાનત વર્ગને ૧૦ ટકા અનામત માટે ઓછામાં ઓછી ૮ લાખની વાર્ષિક આવકની મર્યાદા, ૧૦૦૦ ચોરસફૂટ સુધીનું ઘર અને ૫ હેકટરથી ઓછી ખેતિની જમીન ધરાવતા સવર્ણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

નોટબંધી

૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નરેન્દ્ર મોદીએ અચાનક રાત્રે ૮ કલાકે ટીવી પર આવીને એક મોટી જાહેરાત કરીહતી. આ જાહેરાત હતી નોટબંધીની. પીએમ મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ની રાત્રે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય એવા સમયે લીધો હતો. જયારે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી. આ નિર્ણય પર વિરોધ પક્ષ તરફથી મોટો હોબાળો કરાયો હતો. જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લોકોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ તેના કારણે દેશમાં કેશલેશ ઈકોનોમી અને ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન મળી ગયું હતું.

જીએસટી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કર (Goods and Service Tax) લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. રાજયસભામાં GST અંગે બંધારણિય સંશોધનને મંજૂરી મળી ગયા બાદ સમગ્ર દેશમાં ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ GST લાગુ કરવામાં આવ્યો હતો. GSTને એક મોટા આર્થિક સુધારા માટે લેવાયેલા નિર્ણય તરીકે જોવામાં આવ્યો હતો. જીએસટી લાગુ થતાં પહેલાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જુદા-જુદા કરવેરા વસુલવામાં આવતા હતા. જીએસટી લાગુ થવાથી સમગ્ર દેશમાં એક જ કર વ્યવસ્થા લાગુ થઈ હતી. તેનો 'એક દેશ, એક બજાર, એક કર' તરીકે પ્રચાર કરાયો હતો.

આયુષમાન ભારત યોજના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ૭૨માં આઝાદી દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી આયુષમાન ભારત યોજના લાવવાની જાહેરાત કરી હતી. જેના અંતર્ગત ભારતના ગરીબ પરિવારનોને શ્રેષ્ઠ ઈલાજ અને ગંભીર બીમારીથી બચાવા માટે ૨૫ સપ્ટેમ્બરના રોજ આયુષમાન ભારત યોજના લાગુ કરાઈ હતી. ૨૦૧૮-૧૯ બજેટ દરમિયાન જાહેર કરાયેલી આયુષમાન ભારતની યોજના અંતર્ગત દેશના ૧૦ કરોડ પરિવારોને રૂ.૫ લાખ સુધીની મફત આરોગ્ય વીમાની સુવિધા આપવામાં આવી હતી.

ઉજ્જવલા યોજના

મોદી સરકારની મહત્વની કલ્યાણકારી આ યોજનાનો હેતુ ગરીબ પરિવારો સુધી એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવાનો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલાય યોજના અંતર્ગત બીપીએલ કાર્ડધારક મહિલાઓને મફતમાં એલપીજી કનેકશન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવાનો અને યોજનાના માધ્યમથી ચૂલાના કારણે થતા ધૂમાડાથી ફેલાતી બિમારીથી મુકતી અપાવાનો છે.

(10:21 am IST)