Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

તમામ રાજ્યોને હવે કેન્દ્ર સરકાર તરફથી મફત વૅક્સિન અને 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર સુધી મફત રાશન અપાશે

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું :32 મિનિટમાં સંબોધનમાં પીએમ મોદીએ બે મોટી જાહેરાત કરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું  પોતાના 32 મિનિટમાં સંબોધનમાંબે મોટી જાહેરાત કરી છે. જેમાં પ્રથમ દેશના તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી મફત વૅક્સિન આપવામાં આવશે. રાજ્યોને હવે તેના માટે કોઈ ખર્ચો નહીં કરવો પડે. બીજું કે દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર એટલે કે દિવાળી સુધી મફત રાશન આપવામાં આવશે.

 વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર અને આપણી લડાઈ હજુ ચાલુ જ છે. વિશ્વના અનેક દેશોની જેમ ભારત પણ આ લડાઈ દરમિયાન પીડામાંથી પસાર થયું છે. આપણામાંથી અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યાં છે. આવા તમામ પરિવારો પ્રત્યે મારી પૂરી સંવેદના છે. છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ક્યારેય જોઈ પણ નહતી.

આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ અનેક મોરચે લડી રહ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઈને ICU બેડ્સ વધારવા, વેન્ટેલેટરની વ્યવસ્થા કરવાથી લઈને ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તેયાર કરવાનું હોય. છેલ્લા સવા વર્ષમાં દેશમાં એક નવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

 

બીજી લહેરમાં મિસ મેનેજમેન્ટ અને કેન્દ્રની ભૂમિકા પર સવાલ ઉઠવા પર વડાપ્રધાને કહ્યું કે, રાજ્યોની માંગ પર જ કોરોના સંક્રમણના નિયંત્રણ અને વૅક્સિનેશનના અધિકાર આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી લંબાવવામાં આવી છે. જે બાદ 80 કરોડ લોકોને પહેલાની જેમ જ મફત અનાજ મળતું રહેશે. કોઈ પણ પરિવાર ભૂખ્યો નહી સૂવે. મહામારીના આ કપરા સમયમાં સરકાર ગરીબોની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે તેમની સાથી બનીને ઉભી છે

(7:03 pm IST)