News of Wednesday, 7th February 2018
તાઇપે,તા. ૭ : પૂર્વ એશિયામાં સ્થિત દેશ તાઇવાનમાં મોડી રાત્રે પ્રચંડ ભૂકંપનો આંચકો આવતા ભારે નુકસાન થયુ છે. ધરતીકંપમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને ૩૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મોતનો આંકડો વધી શકે છે. મોટી સંખ્યામાં લોકો લાપતા પણ બનેલા છે. ૬.૪ની તીવ્રતાના આંચકાના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠયુ હતુ. રિક્ટર સ્કેલ પર વધારે તીવ્રતા હોવાના કારણે કેટલાક વિસ્તારમાં નુકસાન થયુ હોવાના હેવાલ મળ્યા છે. તાઇવાનમાં ઇમરજન્સી સર્વિસના વિભાગેે માહિતી આપતા કહ્યુ છે કે દેશમાં ધરતીકંપના આંચકાના કારણે અનેક ઇમારતો એક બાજુ ઝુંકી ગઇ છે. ધરતીકંપના કારણે સૌથી વધારે નુકસાન હુઆલિન શહેરમાં થયુ છે. એમ માનવામાં આવે છે કે એક મોટી ઇમારત ધરાશાયી થવાથી ઓછામાં ઓછા ૬૦ લોકો ફસાઇ ગયા છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ બે લોકોના મોત થયા છે. સાથે સાથે સેંકડો લોકો ઘાયલ થયા છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે આનુ કેન્દ્ર તાઇવાનનુ હુઆલિન હતુ. જેના કારણે કેટલીક ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. માર્શલ હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક લોકો ફસાઇ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. એક મોટી ઇમારત એક બાજુ ઝુંકી ગઇ હતી. જ્યારે એક પુલ હવે ઉપયોગ લાયક નથી. માત્ર ત્રણ દિવસના ગાળામાં તાઇવાનમાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. થોડાક દિવસ પહેલા તાઇવાનના પાટનગર તાઇપેમાં આંચકો આવ્યો હતો. તાઇપે નાણાંકીય બાબતોનુ કેન્દ્ર પણ છે. આ વિસ્તાર દેશના ઉત્તરીય ભાગમાં સ્થિત છે. જે ઇમારતોમાં નુકસાન થયુ છે તે ઇમારતોમાંથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઇમારતોમાં ભારે નુકસાન થવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ સમગ્ર રાત્રી પાર્ક, સ્કુલ અને બીજી જગ્યાએ ગાળી હતી. સાથે સાથે સ્થિતી પર કાબુ મેળવી લેવા માટે બેઠક પણ યોજવામાં આવી હતી. મોડી રાત્રે આવેલા ધરતીકંપના બે વર્ષ પહેલા છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે જ આવેલા ધરતીકંપના કારણે ભારે નુકસાન થયુ હતુ. એ વખતે ૧૧૭ લોકોના મોત થયા હતા અને તેનુ કેન્દ્ર ાઇવાનના દક્ષિણી શહેર તાઇનાન હતુ. એ વખતે ત્યાં ગોલ્ડન ડ્રેગન એપોર્ટમેન્ટ ધરાશાયી થતા ભારે નુકસાન થયુ હતુ.
ભૂકંપ આવે તો શુ કરવુ
નિષ્ણાંતો દ્વારા ફરી સલાહ અપાઇ
તાઇપે,તા. ૭ : પૂર્વ એશિયામાં સ્થિત દેશ તાઇવાનમાં મોડી રાત્રે પ્રચંડ ભૂકંપનો આંચકો આવતા ભારે નુકસાન થયુ છે. ૬.૪ની તીવ્રતાના આંચકાના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠયુ હતુ. ભુંકપ આવે ત્યારે શુ કરવુ જોઇએ તે નિષ્ણાંતોના કહેવા મુજબ નીચે મુજબ છે.
* ભુકંપ વેળા કોઇ કિંમતે લિફ્ટનો ઉપયોગ કરવો જોઇએ નહી
* બહાર નિકળવા માટે લિફ્ટના બદલે સીઢીનો ઉપયોગ કરવો જોઇએ
* કોઇ જગ્યાએ ફસાઇ જવાની સ્થિતીમાં ભાગદોડ કરવાની સ્થિતીમાં વધારે નુકસાન થાય છે જેથી દૌડભાગ કરવી જોઇએ નહી
* જો ભૂકંપ વેળા કોઇ વાહન ચલાવી રહ્યા છો તો તરત જ માર્ગની બાજુએ લઇને બંધ કરવુ જોઇએ
* વાહન ચલાવી રહ્યા છો તો બિલ્ડિંગ, હોર્ડિગ્સ, થાંભળા, ફ્લાય ઓવરથી દુર પોતાની ગાડીને રોકી લેવાની સલાહ નિષ્ણાંત લોકો આપે છે
* ધરતીકંપ આવવાની સ્થિતીમાં તરત સુરક્ષિત જગ્યાએ જતા રહેવુ જોઇએ
* મોટી ઇમારતો અને આવાસથી દુર રહેવુ જોઇએ
* ટેબલ, બેડ અને ડેસ્ક જેવા મજબુત ફર્નિચરની નીચે સંતાઇ જવુ જોઇએ