Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કોરોનાના નવા એક્સઈ વેરિયન્ટના કેસની પુષ્ટી

ભારતમાં કોરોના મહામારીનું જોખમ ફરીથી વધ્યું : આ વેરિએન્ટ નવા કેસ વધવાના કારણે બન્યો છે અને તે અત્યાર સુધીનો સૌથી ઝડપથી પ્રસારિત થતો વેરિએન્ટ છે

નવી દિલ્હી, તા.૫ : ભારતમાં કોરોના વાઇરસ મહામારીનું જોખમ ફરીથી વધી રહ્યું છે. કોરોના સેમ્પલને લઇને હાલમાં જ થયેલા જીનોમ સિક્વન્સિંગમાં કોરોનાના નવા એક્સઇ વેરિએન્ટના કેસની પુષ્ટિ થઇ છે. જેના કારણે એક્સપર્ટ્સમાં ચિંતાના લહેર છે. કોરોનાનો આ વેરિએન્ટ અનેક દેશોમાં નવા કેસ વધવાની કારણે બન્યો છે અને તે અત્યાર સુધીનો સૌથી ઝડપથી પ્રસારિત થતો વેરિએન્ટ છે.

એશિયા અને યુરોપના અનેક દેશોમાં કોરોનાની ચોથી નો ભય શરૂ થઇ જ ગયો છે. સાઉથ આફ્રિકામાં તેના કેસ સૌથી ઝડપથી વધી રહ્યા છે, જેને જોતાં પાંચમી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો ભારતની વાત કરીએ તો, અહીં છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી નવા કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને દરરોજ ત્રણ હજારની આસપાસ નવા કેસો સામે આવી રહ્યા છે.

ભારતમાં આ વેરિએન્ટ મળવો જોખમી સાબિત થઇ શકે છે, કારણ કે તેમાં કોરોનાના અન્ય વેરિએન્ટની સરખામણીએ ઝડપથી પ્રસારિત થવાની ક્ષમતા છે. ચોક્કસથી આખા વિશ્વમાં તેના કેસ ઓછા છે પણ જે નવા કેસો સામે આવી રહ્યા છે, તેને જોતા તે જોખમ ઉભું કરી શકે છે.

આખા વિશ્વમાં કોરોના વાઇરસના અનેક વેરિએન્ટ વિનાશ સર્જી રહ્યા છે. તેમાં સૌથી વધુ એમિક્રોનના સબવેરિએન્ટ બીએ.૧ (બીએ.૧) અને બીએ.૨ (બીએ.૨) સામેલ છે. એક્સઇ વેરિએન્ટ આ બંનેને મળીને બન્યો છે. યુકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીના ચીફ મેડિકલ એડવાઇઝર  સુસાન હોપકિન્સના જણાવ્યા અનુસાર, જ્યારે કોઇ મૂળ વેરિએન્ટના સબવેરિએન્ટ બને છે તો તેમાં એટલી તાકાત નથી હોતી કે તે વધારે નુકસાન પહોંચાડી શકે. આ પ્રકારના વાઇરસ ઝડપથી મરી જાય છે. ભારતમાં આ વેરિએન્ટનો પ્રથમ કેસ છે જ્યારે આખા વિશ્વમાં એપ્રિલ સુધી ૬૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ કેસ યુકેમાં મળ્યા છે અને સૌથી પહેલો કેસ ૧૯ જાન્યુઆરી ૨૦૨૨માં સામે આવ્યો હતો.

અત્યાર સુધી એક્સઈ વેરિએન્ટના સામાન્ય લક્ષણો જ સામે આવ્યા છે. કોરોનાના સામાન્ય લક્ષણ ખાંસી, તાવ, માથાનો દુઃખાવો, થાક, શરદી અને ગળામાં દુઃખાવો છે. અન્ય લક્ષણોમાં ગંધ અને સ્વાદ પારખવામાં ઉણપ અને શરીરનો દુઃખાવો સામેલ છે. ગંભીર કેસોમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયમાં દુઃખાવાનો અનુભવ થઇ શકે છે.

ભારતમાં નિષ્ણાતોએ ઇન્ફેક્શનથી બચવા માટે લોકોને માસ્ક પહેરવા અને હાથને વારંવાર સાફ કરવા અને સાફ રાખવાની ચેતવણી આપી છે. નિષ્ણાતો એ વાતથી સહમત છે કે, અત્યાર સુધી એવો કોઇ જ દાવો નથી કે એક્સઇ વેરિએન્ટ દર્દીઓને ગંભીર નુકસાન કરી શકે છે.

 

(8:01 pm IST)