Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પદ્મશ્રી ડો,તેજસ પટેલની વધુ એક સિદ્ધિ :વિશ્વમાં પ્રથમવાર 30 કિમી દૂરથી કરશે રોબોટિક સર્જરી

દર્દી હોસ્પિટલના કેથલેબમાં હશે જયારે ડૉ.તેજસ પટેલ 30 કિ,મી,દૂર 'અક્ષરધામ' મંદિરથી સર્જરી માટે રોબોટને કમ્પ્યુટર ઉપર કમાન્ડ આપશે :મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ નિહાળશે

જાણીતા હૃદયરોગ નિષ્ણાત પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ કાલે 5મી ડિસેમ્બરે વિશ્વની સૌપ્રથમ 'ટેલિ સ્ટેન્ટીન્ગ કાર્ડિયાક રોબોટિક સર્જરી' કરશે આ સર્જરી વખતે દર્દી તેમની હોસ્પિટલના કેથલેબમાં હશે જયારે ડૉ.તેજસ પટેલ હોસ્પિટલથી  30 કિલોમીટર દૂર 'અક્ષરધામ' મંદિર ખાતેથી આ સર્જરી માટે રોબોટને કમ્પ્યુટર ઉપર કમાન્ડ આપતા હશે. આ નવી ટેક્નોલોજીથી મેડિકલ ક્ષેત્રની તમામ સરહદો દૂર થઇ જશે.

   મળતી માહિતી મુજબ આ સર્જરીને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ સહિતના મંત્રીમંડળના સભ્યો પણ નિહાળશે

    અત્રે ઉલ્લેખનીય છે કે, રોબોટ દ્વારા કોરોનરી એન્જીયોપ્લાસ્ટિ અને  સ્ટેન્ટીન્ગની પ્રક્રિયા અમેરિકાની બહાર વિશ્વમાં સૌપ્રથમ શરુ કરનારા ડૉ. તેજસ પટેલ સૌ પ્રથમ છે.આ નવતર ટેક્નોલોજી ડૉ. તેજસ પટેલ દ્વારા 1.5 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ રૂ. 9.5 કરોડના ખર્ચે વિકસવામાં આવી છે.'
'  વાસ્ક્યુલર રોબોટિક્સ સિસ્ટમ- કોરપેથ-GRX (Vascular Robotics System-CorPath- GRX) યુએસએફડીએ (USFDA) દ્વારા પ્રમાણિત છે. આ વિશ્વની એકમાત્ર રોબોટિક સિસ્ટમ છે, જે કોરોનરી એન્જીયોપ્લાસ્ટિ કરવા સક્ષમ છે. આ સિસ્ટમ ડૉ. પટેલે તેમની અમદાવાદ ખાતેની  "એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ" ખાતે ગત 7 ડિસેમ્બર, 2017ના રોજ પ્રસ્થાપિત કરી હતી. આ પ્રકારની વ્યવસ્થા અમેરિકામાં લગભગ 10 થી 12 સ્થળોએ ઉપલબ્ધ છે.

   એક અખબાર સાથેના સાક્ષાત્કારમાં જાન્યુઆરી, 2018ના રોજ ડૉ.તેજસ પટેલે જણાવ્યું હતું કે, "અમે અત્યારસુધીમાં એક મહિનામાં 57 જેટલી રોબોટિક સર્જરી એક મહિનામાં કરી ચુક્યા છીએ. મને લાગે છે કે વધુ ચોક્સાઈપૂર્વકની સર્જરી માટે રોબોટની મદદ વધુ ઉપયોગી સાબિત થઇ શકે. રોબોટ જોયસ્ટિકસ દ્વારા ઓપરેટ થઇ શકે છે. જે દર્દી કૅથ લેબ (કૅથેટેરિસ્ટશન લેબોરેટરી) માં પથારી ઉપર સૂતો હોય તો પણ કામ કરી શકે છે. રોબોટ  ડોક્ટરને વધુ સારા ક્લિનિકલ નિર્ણયો લેવામાં પણ મદદરૂપ નીવડે છે."

   આ 57 સર્જરી પૈકી માત્ર 6 સર્જરીમાં જ ડોક્ટરને સીધી દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. જો કે, આ તમામ સર્જરી ડૉ.તેજસ પટેલે તેમની હોસ્પિટલમાં રહીને કરી હતી. આ વખતે તેઓ મોટો પડકાર ઝીલીને તેમની હોસ્પિટલથી 30 કિલોમીટરના અંતરે 'અક્ષરધામ' મંદિર, ગાંધીનગરમાં બેઠા-બેઠા બપોરે 3 કલાકેથી સર્જરી પર્ફોર્મ કરશે.
   સામાન્ય રીતે હૃદયની સર્જરીનો જે ખર્ચ આવે છે તેનાથી દોઢો ખર્ચ આ સર્જરીથી આવતો હોય છે. રોબોટિક સર્જરીમાં વપરાતી 'કેસેટ'ને પ્રત્યેક સર્જરી બાદ નાબૂદ કરવાની હોય છે, જેને લીધે તેનો ખર્ચ વધી હતો હોય છે. જો કે દેશની કેટલીક વીમા કંપનીઓ આ મામલે વીમાકવચ આપવા વિચાર કરી રહી છે.
   જો સરકાર નાના શહેરો અને ગામડાઓમાં કેથલેબ બનાવવાની સુવિધા પુરી પાડે તો અનુભવી ડૉક્ટર ખુબ આસાનીથી એન્જીઓપ્લાસ્ટી તેમના ઘરે બેસીને કરી શકે. આ પ્રકારની વ્યવસ્થા મેયો ક્લિનિક, યુએસએમાં હોવાનું ધ્યાને આવ્યું છે જેના પ્રયોગ સફળ નીવડ્યા છે.
   "એપેક્ષ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ" ના ચેરમેન અને ચીફ ઇન્ટરવેનશનલ કાર્ડીઓલોજીસ્ટ પદે કાર્યરત એવા ડૉ। તેજસ પટેલ ઓગસ્ટ, 2012 સુધી અમદાવાદની શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલમાં 'કાર્ડીઓલોજી વિભાગ' ના હેડ હતા. 2013થી તેમની નિયુક્તિ 'વિર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી મેડિકલ  સેન્ટર, રિચમોન્ડ' ખાતે કાર્ડીઓલોજી વિભાગના પ્રોફેસર તરીકે નિમાયા
   વર્ષ-2015માં તબીબી સેવા ક્ષેત્રે પ્રદાન બદલ  તેમને 'પદ્મ શ્રી' એવોર્ડ એનાયત થયો. ટ્રાન્સરેડિયલ એપ્રોચ (એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી એન્ડ સ્ટેન્ટીન્ગ થ્રુ ધ રીસ્ટ આર્ટરી) માટે તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા. આ ઉપરાંત તેમને "ડૉ. બીસી રોય એવોર્ડ" અને "ડૉ। કે.એમ શરણ કાર્ડીઓલોજી એક્સેલન્સ એવાર્ડ' થી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ 'ટ્રાન્સરેડિઅલવર્લ્ડ.કોમ" ના સંપાદક પણ છે

(10:57 pm IST)