Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પાટીદાર સમાજની સંસ્થાઓ મેદાનમાંઃ કેન્દ્ર સરકારની મધ્યસ્થી પછી હાર્દિક પટેલ સાથે ગુજરાત સરકાર સમાધાનની ફોર્મ્યુલા રજૂ કરશે?

આમરણાત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની દસમા દિવસે તબિયત લથડી રહી છે

અમદાવાદપાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી ના મુદ્દે આમરણાત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની દસમા દિવસે તબિયત લથડી રહી છે, ત્યારે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા મધ્યસ્થી કરી ને આ મુદ્દાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ સરકાર સાથેની વાટાઘાટોમાં હાર્દિકના બે મુદ્દા તાત્કાલિક અસરથી ઉકેલાય તેવા ન હોવાથી માત્ર ખાતરી અને વચનોથી હાલ પૂરતું ઉપવાસ આંદોલન સમેટી લેવું પડે તેવી સ્થિતિ સર્જાશે. ત્યારે સરકારની ફોર્મ્યુલા કેવી હોઈ શકે છે. કેન્દ્રની મધ્યસ્થીથી કેવી રીતે ઉકેલ આવે શકે છે તેની ભારે ચર્ચા છે.

હાર્દિક પટેલની બે માગણીઓ પૈકી પ્રથમ માગણી પાટીદારોને અનામત આપવાની છે, પરંતુ બંધારણીય રીતે ગુજરાત સરકારના હાથમાં આ માંગણીનો ઉકેલ નથી. પરિણામે જો સમાધાનની ફોર્મ્યુલા ઘડાય તો તેમાં અનામત અંગે ગુજરાત સરકાર વિધાનસભામાં ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલે અથવા તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અનામત અંગેનો ઠરાવ કરી કેન્દ્રીય મંત્રીમંડળને મોકલવામાં આવે અથવા તો સુપ્રીમ કોર્ટમાં આ અંગે કેસ દાખલ કરવામાં આવે. જોકે, અન્ય રાજ્યોમાં અનામત મુદ્દે હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં કેસો ગયા છે.

હાર્દિક પટેલની બીજી માંગણી ખેડૂતોના દેવા માફીની છે આ મુદ્દે પણ કેન્દ્ર સરકારે સીધી દરમિયાનગીરી કરવી પડે તેવી સ્થિતિ છે. તેથી ખેડૂતોના દેવા માફીના મુદ્દે પણ સમાધાનમાં ગુજરાત સરકાર વતી કેન્દ્ર સરકારને ખેડૂતોના દેવા માફી અંગે રજૂઆત કરવામાં આવે અને કેન્દ્ર પાસેથી ખેડૂતો અંગેની સહાય મળ્યા બાદ ગુજરાત સરકાર આ ખેડૂતોના દેવા માફી નો નિર્ણય લઈ શકે છે.

રાજ્ય સરકાર માત્ર રજૂઆત કરી શકે


આમ છેલ્લા દસ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની બંને માગણીઓ સીધી જ કેન્દ્ર સરકારને સ્પર્શતી હોવાથી ગુજરાત સરકાર માત્ર રજૂઆતો અને કેન્દ્રમાં ઠરાવ કરીને મોકલી શકે છે.

 

(5:49 pm IST)