Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ચુંટણી પહેલા જ રાહુલ ગાંધીએ હવે અમેઠીની પ્રજાને પત્ર લખ્યો

અમેઠી સાથે તેમનો ભાવનાત્મક-પારિવારિક સંબંધ : ભારતીય જનતા પાર્ટીના લોકો પૈસા અને ખોટા વચનોના આધારે જીત મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે રાહુલ ગાંધી

અમેઠી, તા. ૩ : લોકસભા ચુંટણીમાં પાંચમાં તબક્કામાં છઠ્ઠી મેના દિવસે મતદાન યોજાનાર છે તે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્ર લખીને અમેઠીને પોતાના પરિવાર તરીકે ગણાવીને ભાજપ પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમેઠી સાથે તેમનો ભાવનાત્મક સંબંધ રહેલો છે. પરિવારના સભ્યો વચ્ચે જે રીતે સંબંધ હોય છે તેવો સંબંધ રહેલો છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ખોટા વચનો અને પૈસાની તાકાતથી ચુંટણી જીતવા માટે ઈચ્છુક છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમેઠી તેમના પરિવાર તરીકે છે. અમેઠી પરિવાર તેમને મત આપે છે. આજ કારણસર તેઓ સચ્ચાઈ સાથે ઉભા છે. ગરીબ કમજોરોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તમામ માટે ન્યાય માટે સંકલ્પ લઈ રહ્યા છીએ. રાહુલે એમ પણ કહ્યું છે કે તેઓએ સમગ્ર દેશને ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમને જોડવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ પાર્ટી ગરીબો, મહિલાઓ અને નાના દુકાનદારો માટે કામ કરે છે. જ્યારે ભાજપનો ઈરાદો ૧૫થી ૨૦ ઉદ્યોગપતિઓને સરકારી માલિક બનાવી દેવાનો છે. કોંગ્રેસની વ્યવસ્થામાં લોકો જાણે છે જ્યારે ભાજપની વ્યવસ્થામાં અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ માલિક છે. રાહુલે કહ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ અમેઠીમાં રોકાયેલા વિકાસના તમામ કામોને ફરી શરૂ કરી દેવામાં આવશે. અમેઠીના પરિવારના લોકો જાણે છે કે જુઠ્ઠાણાની ફેકટરી લગાવી દેવામાં આવે છે અને પૈસાની નદીઓ ચલાવવામાં આવી રહી છે પરંતુ ભાજપના લોકો જાણતા નથી કે અમેઠીની તાકાત સ્વાભિમાન અને સાદગીમાં રહેલી છે. અમેઠીની પ્રજાને તેમનું વચન છે કે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ ભાજપ દ્વારા અમેઠી માટે રોકવામાં આવેલા તમામ કામોને ફરી ગતિ આપવામાં આવશે. બીજ બાજુ અમેઠીમાં રાહુલ ગાંધીની સામે ચુંટણી મેદાનમાં રહેલા ભાજપના આક્રમક નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર પ્રહાર કર્યા છે. તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ જારી છે. રાહુલ ગાંધી અથવા તો પ્રિયંકાએ ક્યારેય પણ સ્મૃતિનું સીધું નામ લીધું નથી પરંતુ કોંગ્રેસ મહાસચિવ આજે મતદારોને પ્રશ્ન કરી રહી છે કે જો ભાજપના ઉમેદવાર ફરીથી પરાજિત થશે અને રાહુલ ગાંધી વડાપ્રધાન બની જશે તો તેમનું શું થશે. આક્ષેપબાજીના દોર વચ્ચે અમેઠીમાં કોણ મેદાન મારશે તેને લઈને મતદારોમાં પણ ઉત્સુકતા છે. છેલ્લી ચુંટણીમાં રાહુલ ગાંધી જીત્યા હતા પરંતુ આ વખતે તેમની હાલત ખૂબ કફોડી દેખાઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ મજબૂત આધારશિલા તૈયાર કરી લીધી છે.

(7:54 pm IST)