Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

સીએએ : મોદી સરકાર એક ઇંચ પણ પીછેહઠ કરશે નહીં

જોધપુરમાં અમિત શાહના વિરોધી પર પ્રહારો : કોંગ્રેસી લોકો વોટબેંકની લાલચમાં હોબાળો મચાવી રહ્યા છે : રાહુલ ગાંધી ને ઇટાલિયન કોપી મોકલવા માટે કરેલી ટકોર

જોધપુર, તા. ૩ : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રાજસ્થાનના જોધપુરમાં નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું. રેલી દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, સીએએ પર કોંગ્રેસે વોટબેંક માટે દુષ્પ્રાચર કર્યું છે જેથી ભાજપને કાનૂનના સમર્થનમાં જનજાગરણ અભિયાનની શરૂઆત કરવાની ફરજ પડી છે. રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે, જો તેઓ સીએએ પર ચર્ચા કરવા માટે ઇચ્છુક છે તો કોઇપણ જગ્યાએ આવી શકે છે. જો કાનૂનને વાંચવા માટે તૈયાર નથી તો ઇટાલિયન ભાષામાં અનુવાદ કરીને મોકલાવી શકીએ છીએ. ગૃહમંત્રીએ કોટાની હોસ્પિટલમાં બાળકોના મોતના મામલામાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. રેલીમાં અમિત શાહે લોકોને ભાજપ દ્વારા સીએએના સમર્થનમાં કરવામાં આવી રહેલા અભિયાનમાં ટેકો આપવા લોકોને અપીલ કરી હતી. સાથે સાથે ટોલ ફ્રી નંબર પર મિસકોલ પણ કરાવ્યો હતો.

               શાહે કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતને લઇને મુખ્યમંત્રી અશોક ગહેલોતની ઝાટકણી કાઢી હતી. સાથે સાથે કોંગ્રેસ ઉપર સાવરકરના અપમાનને લઇને પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોટામાં જે બાળકોના મોત થઇ રહ્યા છે તેમની માતાઓની પીડા કોંગ્રેસને સહન કરવાની રહેશે. વિપક્ષને પડકાર ફેંકતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના લોકો, મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ડીએમકેના લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ આ તમામ પાર્ટીઓને પડકાર ફેંકવા માંગે છે કે, કોઇપણ જગ્યાએ આ કાનૂનમાં ચર્ચા માટે મેદાનમાં આવી શકે છે.

              આ કાનૂનને લઇને કોઇપણ બાંધછોડ કરવા અથવા તો વિરોધ પક્ષોના દબાણ સમક્ષ ઝુંકવાનો અમિત શાહે આજે ઇન્કાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી લોકો ધર્મના આધાર પર અત્યાચારનો સામનો કર્યા બાદ ભારત આવ્યા છે. તેમને નાગરિકતા આપવામાં આવી રહી છે. વિપક્ષ આની સામે એક થઇને દુષ્પ્રચાર કરવામાં વ્યસ્ત છે પરંતુ ભાજપ આ ચુકાદાને લઇને એક ઇંચ પણ પીછેહઠ કરશે નહીં. શરણાર્થીઓ ઉપર જે અત્યાચાર થયા છે તેનાથી મોટા માનવ અધિકારના ભંગ કોઇપણ હોઈ શકે નહીં. ત્યા શરણાર્થી લોકો કરોડપતિ હતા પરંતુ આજે તેમની પાસે રહેવા માટે જગ્યા નથી. આ કાનૂનથી તેમને રાહત આપવામાં આવી રહી છે. રાજસ્થાનની હોસ્પિટલમાં મોતને લઇને રાજનીતિ જોરદારરીતે ગરમ થઇ રહી છે.

(7:25 pm IST)