Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ટીબીની રસી બીસીજીથી કોરોનાનું સંક્રમણ ધીમું પડે છે : અભ્યાસ

ઉપલબ્ધ રસીઓ કોરોના સામે કેટલી કારગર છે તે અંગે ચકાસણી જારી : કોરોના મહામારી દુનિયામાં શરુ થયાને ૮ મહિના જેટલો સમય થઈ ગયો તેમ છતાં આજે પણ તેની સામે લડવા માટે કોઈ દવા કે રસી નથી : રિપોર્ટ

મુંબઈ, તા. ૨ : ટીબી ન થાય માટે આપવામાં આવતી રસી બીસીજી કોરોના પર કેટલી કારગર રહેશે તેને લઈને ચર્ચામાં એક નવો મુદ્દો ઉમેરાયો છે. હાલમાં જ એક અમેરિકન રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીજી રસીની મદદથી દર્દીમાં કોરોના સંક્રમણના ફેલાવાને ધીમું પાડવામાં સફળતા મળે છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણ થતા પ્રાથમિક ૩૦ દિવસમાં આ રસી ફાયદો પહોંચાડે છે. મહત્વનું છે કે કોરોના મહામારી દુનિયામાં શરુ થયાને ૮ મહિના જેટલો સમય થઈ ગયો તેમ છતા આજે પણ તેની સામે લડવા માટે દુનિયા પાસે કોઈ દવા કે રસી નથી. તેવામાં કોરોનાની રસી શોધવા વચ્ચે નિષ્ણાંતો પહેલાથી ઉપલબ્ધ રસીઓ કોરોના સામે કેટલી કારગર છે તે અંગે પણ ચકાસી રહ્યા છે. ખૂબ જ જાણીતી મેડિકલ જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ આ સંશોધન પત્ર અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે દેશમાં બીસીજીનું રસીકરણ ફરજાયાત છે ત્યાં કોરોના મહામારીને ફેલાવા સમયે પહેલા ૩૦ દિવસમાં સંક્રમણનો ફેલાવો અને મૃત્યુદર ઓછો જોવા મળ્યો છે. સંશોધકોએનું ધારવું છે કે જો અમેરિકમાં દશકાઓ પહેલા જ બીસીજી વેક્સિન ફરજીયાત કરવામાં આવી હોત તો ૨૯ માર્ચ સુધીમાં દેશમાં કોરોનાથી ફક્ત ૪૬૮ લોકો જ મર્યા હોત જેની સાથે એક્ચ્યુઅલ આંકડો તે સમયે ૨૪૬૭ હતો. સંશોધકોએ કહ્યું ભારત અને ચીન જેવા દેશો જ્યાં બીસીજીને રાષ્ટ્રીય ટીકાકરણ પ્રોગ્રામ અંતર્ગત આવરી લેવામાં આવી છે ત્યાં કોરોનાથી મૃત્યુદર ખૂબ જ ઓછો છે. કેટલાક ડોક્ટર્સનું પણ માનવું છે કે બીસીજીના કારણે કોરોનાને લગતી કેટલીક જટીલ આરોગ્ય સ્થિતિથી દર્દી બચી જાય છે. નાના બાળકને જન્મના ૧૫ દિવસમાં જ ટીબીથી બચાવવા માટે બીસીજી રસી આપવામં આવે છે. જેનાથી આ રોગ સામે લડવા માટે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જ્યારથી ૮ મહિના પહેલાથી કોવિડ-૧૯ મહામારીની શરુઆત થઈ છે. ત્યારથી જ કોરોના સામે બીસીજીના ઉપયોગને લઈને અનેક ચર્ચાઓ થઈ છે. બીસીજી અંગેના આ અમેરિકન અભ્યાસમાં સંશોધકોએ ૧૩૫ દેશોમાં કોરોનાની શરુઆતના ૩૦ દિવસોમાં કેસના વધવાની ગતી અંગે અભ્યાસ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે જે દેશમાં ફરજીયાત બીસીજી વેક્સિનેશન છે ત્યાં કોરોના કેસના કર્વને વાળવામાં મદદ મળી હતી. જોકે બીસીજીને કોઈ જાદુઈ જડીબુટ્ટી તરીકે ગણવી જોઈએ નહીં. પબ્લિક હેલ્થ નિષ્ણાંત ડો. અનંત ભાને કહ્યું કે 'કોવિડ-૧૯ની વિરુદ્ધ બીસીજી રસી કારગર છે તે દાવો વૈજ્ઞાનિકની જગ્યાએ ઇકોલોજિકલ વધુ લાગે છે. રિપોર્ટમાં કરવામાં આવેલ દાવો ફક્ત એક સંજોગ હોઈ શકે અન્યથા ભારત અને બ્રાઝિલ બંને દેશમાં બીસીજી રસીકરણ ફરજિયાત છે પરંતુ તેમ છતા આ બંને દેશમાં હાલ ખૂબ જ વધુ છે.' તો ઇન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયનના ડીન ડો. શશાંક જોશીએ કહ્યું કે 'રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બીસીજી મુખ્ય રસી છે. તેવામાં માની શકાય કે કોવિડ ૧૯ સામે પણ તે કેટલાક અંશે સુરક્ષા આપતી હોય.' પોતાની વાતને લઈને ઉદાહણર સમજાવતા તેમણે કહ્યું કે પોર્ટુગલ કે જ્યાં બીસીજીનું રસીકરણ ફરજિયાત છે ત્યાં પડોશી સ્પેન કરતા ખૂબ જ ઓછા કેસ છે. જ્યારે પડોશી સ્પેન કોરોનાથી દુનિયામાં સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવીત દેશમાંથી એક ગણાય છે. ડો. જોશીએ કહ્યું કે બીસીજી રસીને લઈને બે મુદ્દાનો વિવાદ ચાલી રહ્યો છે. શું કોરોના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની તેની ક્ષમતાને જોતા આ રસી ફરી દર્દીને આપવી જોઈએ ? તેમજ કોરોનાના દર્દીને સંક્રમણથી થતા કોમ્પ્લિકેશનથી બચાવવા માટે આ રસીનું ઇન્જેક્શન આપવું જોઈએ? મહત્વનું છે કે કોરોના પર બીસીજી રસી કેટલી અસરકારક છે તે જાણવા માટે સરકાર પણ ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. તેમજ શું BCG રસીથી કોરોના સંક્રમિત દર્દીમાં મોર્બિડિટીની સમસ્યાને કાબુમાં લઈ શકાય કે નહીં તેના પર પણ સંશોધન થઈ રહ્યું છે. આ ક્લિનિકલ ટ્રાયલમાં ૨૫૦ દર્દીઓનો સામાવ કરવામાં આવ્યો છે. જે સરકાર દ્વારા સંચાલિત ૧૮ જેટલી જુદી જુદી મેડિકલ કોલેજોમાં આ પ્રયોગ ચાલી રહ્યો છે. જેના પરિણામ આગામી ૨-૩ મહિનામાં આવી જશે.

(8:01 pm IST)