Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પાલઘરમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા : બે વર્ષની બાળકીનું મોત

પાલઘર તા. ૨ : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કેટલાક ભાગોમાં શુક્રવારે ભૂકંપના ૩ આંચકા મહેસૂસ કરાયા. આ દરમિયાન એક બે વર્ષની બાળકીનું મોત થયું. એક અધિકારીએ જણાવ્‍યું કે ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૩થી ૪.૧ વચ્‍ચે રહી. એક પોલીસ અધિકારીના જણાવ્‍યાં મુજબ દહાણુ તહેસીલના ધુંધાલવાડીમાં વૈભવી રમેશ ભુયાલ પડી જવાથી તેના માથામાં તેને ગંભીર ઈજા થઈ અને મોત થયું. અધિકારીઓએ કહ્યું કે દીવાલ પડવાના પણ અહેવાલો છે.

મળતી માહિતી મુજબ પહેલી ફેબ્રુઆરીના રોજ પાલઘર જિલ્લામાં અનેક જગ્‍યાઓ પર ભૂકંપના આંચકા મહેસૂસ કરાયા. પહેલો આંચકો બપોરે ૨.૦૬ કલાકે રિક્‍ટર સ્‍કેલ પર ૪.૧ની તીવ્રતાથી આવ્‍યો. બીજો આંચકો ૩.૫૩ કલાકે ૩.૬ની તીવ્રતાનો અનુભવાયો. જયારે લોકોએ ત્રીજો આંચકો ૪.૫૭ કલાકે ૩.૫ની તીવ્રતાનો આવ્‍યો. ભૂકંપના આંતકાને જોતા પ્રશાસનને એલર્ટ કરી દેવાયું છે. એનડીઆરએફની એક ટીમ પણ તહેનાત કરાઈ છે. મળતી માહિતી મુજબ લોકોએ પોતાના ઘર ખાલી કરવાના શરૂ કરી દીધા છે.

અત્રે જણાવવાનું કે આ વિસ્‍તારમાં છેલ્લા ૩ મહિનામાં ભૂકંપના ૧૫ આંચકા આવી ચૂક્‍યા છે. જે રિક્‍ટર સ્‍કેલ પર નોંધાયેલા છે. ગ્રામીણોનું કહેવું છે કે છેલ્લા ૩ મહિનામાં અત્‍યાર સુધીમાં લોકોએ ૫૦ આંચકા અનુભવ્‍યાં છે જે રિક્‍ટર સ્‍કેલ પર નોંધાયા નથી. જાણકારોનું માનીએ તો બેની તીવ્રતાથી ઓછાના આંચકા રિક્‍ટર સ્‍કેલ પર નોંધાતા નથી અને તેને મામૂલી આંચકા ગણાય છે.

આ વિસ્‍તારમાં છેલ્લા અનેક મહિનાથી વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકા અટકવાનું નામ લેતા નથી. જેના કારણે લોકો દહેશતમાં રહે છે. ભૂકંપના આંચકાઓના કારણે ઘરોની દીવાલોમાં પણ તીરાડ પડવા લાગી છે. લોકો કડકડતી ઠંડીમાં પણ પરિવાર સાથે મેદાનમાં સૂઈ જાય છે.

 

(11:15 am IST)