Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગુજરાતના મુખ્યસચિવ તરીકે પદભાર સંભાળતા શ્રી પંકજ કુમાર : વયનિવૃત્ત થતા મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમનો વિદાય સમારંભ યોજાયો

મુખ્યસચિવ તરીકેની અગત્યની જવાબદારી ખૂબજ નિષ્ઠાથી નિભાવશે અને તેમના વહીવટી અનુભવ થકી ગુજરાત વધુને વધુ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ શ્રી પંકજ કુમારે વ્યક્ત કર્યો

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યસચિવ તરીકે ૧૯૮૬ બેચના શ્રીપંકજ કુમારની નિયુક્તિ થતાં તેમણે આજે મુખ્યસચિવ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે રાજયના વયનિવૃત્ત થતા મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમનો વિદાય સમારંભ પણ યોજાયો હતો.

રાજયના નવનિયુકત મુખ્યસચિવ શ્રી પંકજ કુમારે વયનિવૃત્ત થતા મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમને નિવૃત્ત જીવન માટેની શુભેચ્છાઓ આપી હતી. પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમનામાં વિશ્વાસ મૂકી મુખ્યસચિવ તરીકેની અગત્યની જવાબદારી આપી છે તેને ખૂબજ નિષ્ઠાથી નિભાવશે અને તેમના વહીવટી અનુભવ થકી ગુજરાત વધુને વધુ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વયનિવૃત્ત થતા મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમે નવનિયુકત મુખ્યસચિવ શ્રી પંકજકુમારને શુભેચ્છા આપીને ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓનો જે વ્યાપક સહયોગ મળ્યો એ બદલ સૌનો આભાર માન્યો હતો.

નવનિયુકત મુખ્યસચિવશ્રી અને  બિહારના પટના ના વતની શ્રી પંકજ કુમાર ૧૯૮૬ થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહયા છે.તેઓએ આઈ.આઈ.ટી કાનપુરથી સીવીલ અન્જીનીયરીગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે.તેઓ શ્રી રાજયના વિવિધ જિલ્લાઓમા કલેકટર તરીકે સેવાઓ આપી છે ઉપરાંત ગુજરાતમા પૂર,વાવાઝોડુ, દુષ્કાળ અને કોરોનાના કપરાકાળમા પણ મહત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યા છે. આ અગાઉ તેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપીને અનેક જનહિતલક્ષી સેવાઓ ઓનલાઈન કાર્યરત કરી છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ શ્રી એ.કે.રાકેશે સ્વાગત પ્રવચન કરીને સોને આવકાર્યા હતા.આ પ્રસંગે રાજયના વિવિધ વિભાગના અધિક મુખ્ય સચિલશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ અને સચિવશ્રીઓ એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

(7:33 pm IST)