Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

પેકેજ્ડ ફૂડ આઈટમના ટેસ્ટિંગ માટે રાજ્યમાં કોઈ લેબોરેટરી નહીં : હાઈકોર્ટમાં સરકારની કબૂલાત

ગ્રીન ડોટ ધરાવતા પેકેજ્ડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે કેમ? તે જાણવાનો લોકોને અધિકાર છે.: હાઇકોર્ટ

અમદાવાદ : પેકેજ્ડ ફૂડ આઈટમ્સમાં ઉમેરવામાં આવતા ઘટકોના ટેસ્ટિંગની સુવિધા માટે ગુજરાતમાં કોઈ લેબોરેટરી નહીં હોવાની રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ કબૂલાત કરી છે. ગુજરાતમાં પેકેજ્ડ ફૂડ આઈટમ્સ વેજેટેરિયન જાહેર કરાઈ હોય, તો પણ એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયુ છે કે કેમ? તેના ટેસ્ટિંગ માટે કોઈ સુવિધા નથી.

પેકેજ્ડ ફૂડ આઈટમ્સના લેબલિંગ અને પેકેજિંગની યોગ્ય અમલવારીના માંગણી સાથે થયેલી અરજીમાં હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું કે, ગ્રીન ડોટ ધરાવતા પેકેજ્ડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે કેમ? તે જાણવાનો લોકોને અધિકાર છે. ભારતના બંધારણે તમામ લોકોને પોતાના ધર્મ પ્રમાણે જીવવાનો અધિકાર આપ્યો છે.

હાઈકોર્ટેનું કહેવું છે કે, વેજિટેરિયન ખાનાર વ્યક્તિને ભૂલમાં પણ નોનવેજ ખાવાની નોબત આવે અને તેનો ટેસ્ટ પણ ના થઈ શકતો હોય, તો લોકોની ધાર્મિક લાગણી દુભાશે. પેકેજ્ડ ફૂડ પર વેજિટેરિયનનો ગ્રીન ડોટ અનેક લોકો માટે વિશ્વાસનું કારણ હોય છે અને આ વિશ્વાસ તૂટવો વ્યાજબી નથી. ગુજરાત સરકારની કબૂલાત બાદ હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ તથ્યો વાળો રિપોર્ટ માંગ્યો છે.

(3:29 pm IST)