Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જન્માષ્ટમીએ મોડીસાંજે વિસનગર પંથકમાં વીજળી પડતા બે લોકોના કરૂણમોત

ગણપતપુરા ગામના મહિલા અને યુવકને આકાશી વીજળી ભરખી ગઈ

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગણપતપુરા ગામે જન્માષ્ટમીએ વરસાદ વચ્ચે દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. ગઇકાલે મોડી સાંજે વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા બે વ્યક્તિ પર વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાનું સામે આવ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતકોના નામ ઠાકોર નાગજી રમેશજી(ઉ.વ.17) અને ઠાકોર સુખીબેન તલાજી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મહેસાણા ખસેડાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. ગઇકાલે સાંજે બનેલી ઘટનામાં ગામની મહિલા અને યુવકનુ વીજળી પડવાને કારણે મોત થતાં ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઇ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. આ તરફ જન્માષ્ટમીના દિવસે જ બંનેના મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે

(1:43 pm IST)