Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સૌરાષ્‍ટ્ર-રાજકોટ સહિત ગુજરાતમાં અનેક જગ્‍યાઓએ ગઇકાલે વાદળછાયુ વાતાવરણ છવાયેલઃ બપોર બાદ અનેક જિલ્લાઓમાં મેઘરાજાની થઇ પધરામણી

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગણપતપુરા ગામમાં વીજળી પડતા ૨ લોકોના મોત થયા

ગાંધીનગરગુજરાતમાં ફરી એકવાર મેઘો મહેરબાન થયો છે. અનેક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ આજે વરસાદ નોંધાયો હતો. શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, પૂર્વ નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગરોડ, સરદારનગર, કુબેરનગર, નારણપુરા, વસ્ત્રાપુર, ગોતા સહિતનાં સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો

ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને રાહત મળી હતી. બીજી તરફ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગણપતપુરા ગામમાં વીજળી પડતા 2 લોકોનાં મોત નિપજ્યાં હતા

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત આજ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જો કે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે કપાસ,મગફળી, મકાઇ, અડદ, એરંડા સહિતનાં પાકો બચી ગયા હતા. ધોધરામર વરસાદના પગલે ખેડૂતો ફરી એકવાર રાહત થઇ હતી. લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે

ઉત્તર જરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થતા પશુપાલકો અને ખેડૂતોને મોટી રાહત થઇ હતી. સમી સાંજે મેઘરાજાની પધરામણી થઇ હતી. મેઘરાજાએ પધરામણી કરતા નાગરિકોને પણ રાહત પહોંચી હતી. રહી રહીને મેઘરાજાએ પધરામણી કરતા સમગ્ર ગુજરાતના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો

(11:21 am IST)