Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાને પ્રમુખ બનાવવાનો ઠરાવ પસાર કર્યોઃ બાવળીયા આગામી ત્રણ વર્ષ સુધી કોળી સમાજના પ્રમુખ પદે રહેશે

આ પહેલા વિરોધી જુથે કરેલી કાર્યવાહીને ગેરબંધારણીય ઠેરવી દેવામાં આવી છેઃ બાવળિયાની કોળી સમાજના પ્રમુખ પદે ફરી વરણી થતા ભાજપે પણ રાહત અનુભવી

રાજકોટઃ રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે રી-એન્ટ્રી થઈ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ફરી કોળી સમાજના પ્રમુખ બન્યા છે. 13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાને પ્રમુખ બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. બાવળીયા આગામી ત્રણ વર્ષ સુધી કોળી સમાજના પ્રમુખ પદે રહેશે. તો પહેલા વિરોધી જુથે કરેલી કાર્યવાહીને ગેરબંધારણીય ઠેરવી દેવામાં આવી છે. બાવળિયાની કોળી સમાજના પ્રમુખ પદે ફરી વરણી થતા ભાજપે પણ રાહત અનુભવી છે

બાવળિયાએ આપ્યુ હતુ રાજીનામુ
મહત્વનું છે કે 1 ઓગસ્ટે બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ વિવાદો થયા હતા. 2017માં કુંવરજી બાવળિયા સમગ્ર ભારત કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. તેમની પસંદગી 3 વર્ષ માટે કરવામાં આવી હતી. દેશના 17 રાજ્યોમાં કોળી સમાજનું સંગઠન ચાલે છે. મહત્વનું છે કે બાવળિયાએ સરકારના કામકાજમાં વ્યસ્તતા હોવાને કારણે કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતું.

અજીત પટેલે બાવળિયા પર લગાવ્યા હતા આરોપ
સુરત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે બાવળિયાને નિશાને લીધા હતા. બાવળિય પર આરોપ લગાવતા અજીત પટેલે કહ્યુ કે, તેઓ મંત્રીપદની લાલચે ભાજપમાં જોડાયા હતા. તેમણે સમાજ માટે કંઈ કામ કર્યું નથી. તેમણે પોતાની ખુરશી બચાવવા પ્રયાસ કર્યા છે. બાવળિયાએ સમાજમાં ફૂંટ પાડવાનું કામ કર્યું હતું

(11:19 am IST)