Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

30 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝના રસીકરણમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈની તાકીદ

સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું હોય તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ  શાહે રસીકરણ કામગીરીની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણની ઝુંબેશ ઘનિષ્ઠ રીતે હાથ ધરી 30મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રસીકરણ ડોઝનો લક્ષ્યાંક 100% સિદ્ધ કરવા તાકીદ કરી હતી. સાથે સાથે સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું છે તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.

અમદાવાદ જિલ્લા કલેટર કચેરી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળેલી દિશા મોનિટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિગતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી તાલુકા- જિલ્લા સ્તરે સંકલન અને સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાના વિકાસની ગતિ આગળ ધપાવવા સૌ પ્રયત્નશીલ બને તેવા પ્રયાસ કરવા જણાવાયું હતું.

માં કાર્ડ સંદર્ભે કેંદ્રીય મંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું કે, લોકોના આરોગ્યને સ્પર્શતી આ કામગીરી સુપેરે કરાય તે જરૂરી છે. જનતાની આરોગ્ય સંભાળને લગતા વિવિધ સંસાધનોનું વ્યવસ્થાપન પણ સુંદર રીતે કરવા સૂચના આપી હતી. આયુષ્યમાન ભારત, ઉજજ્વલા યોજના, એન.એફ.એસ.એ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોચાડવા જે તે વિસ્તારમાં કેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે.

કૃષિલક્ષી બાબતો અંગેની સમીક્ષા કરતા કેંદ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પાકો માટે અલગ વાતાવરણ હોય છે ત્યારે વિવિધ તાલુકામાં વિવિધ પાકના ‘મોડેલ ફાર્મ’ બનાવી ખેડૂતોને મુલાકાત કરાવવી જોઈએ. જેથી ખેડૂતો ‘ક્રોપ પેટર્ન ચેન્જ’ અપનાવી ઉત્પાદનમાં વૈવિધ્યપણું લાવી શકે એમ તેમણે ઉમેર્યું હતું. કેંદ્રીય મંત્રી અમીત શાહે ઉમેર્યું કે, સ્વામિત્વ યોજનામાં દસકોઈ તાલુકાના પસંદ કરાયેલા 17 ગામોમાં મોડેલ કામગીરી કરી અમદાવાદ જિલ્લો અગ્રેસર ભૂમિકા ભજવી શકે એમ છે.

આ બેઠકમાં રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તથા જન ઔષધિ કેન્દ્રો ગ્રામ વિસ્તારમાં વધુ કાર્યાન્વિત કરાય તે સમયની માંગ છે. આ ઉપરાંત ટી.પી. યોજનાઓ, વૃધ્ધ સહાય વિધવા સહાય તથા મહાનગરપાલિકાને સ્પર્શતી યોજનાઓને વધુ પરિણામ લક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમ સાંસદ કિરીટ સોલંકી, રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહેસુલમંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદિપ જાડેજા, ધારાસભ્યો ભુપેન્દ્ર પટેલ, અરવિંદ, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રના અધિકારી પદાધિકારીઓ દિશા સમિતિની બેઠકમાં જોડાયા હતા.

(9:04 pm IST)