Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ડિપ્લોમા પ્રવેશ સમિતિએ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી 31 ઓગસ્ટ સુધી લંબાવી

રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા બાદ સમિતિ સમક્ષ પ્રવેશમાં તક આપવા માટે અનેક રજૂઆતો થઈ હતી

અમદાવાદ :ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયા બાદ ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળી રહે તે માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી 31 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા બાદ સમિતિ સમક્ષ પ્રવેશમાં તક આપવા માટે અનેક રજૂઆતો થઈ હતી. જેને લઈને સમિતિ દ્વારા આવા વિદ્યાર્થીઓને તક મળી રહે તે માટે 31 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવી છે.

ધોરણ-10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 17 જૂન, 2021થી 25 ઓગસ્ટ, 2021 સુધી કુલ 44033 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફી ભરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ કરી હતી. વર્ષ-2021 દરમિયાન કોરોના મહામારીને ધ્યાને લેતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવી હતી.

જુલાઈ માસમા લેવામાં આવેલી ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા 25 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થયા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ 26 ઓગસ્ટના રોજ એડમિશન કમિટીના મેઈલ આઈડી, હેલ્પ લાઈન તથા અન્ય માધ્યમથી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તક આપવા અંગેની રજૂઆત કરી હતી.

આમ, એડમિશન કમિટીને વિદ્યાર્થીઓ તરફથી મળેલી લેખિત તેમજ મૌખિક રજૂઆતોને લઈ કમિટી દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને જોતા તેમને એક તક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 31 ઓગસ્ટ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રજિસ્ટ્રેશન પછીના તબક્કાની તારીખોમાં કોણ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનું પણ જાણવા મળે છે. અગાઉ જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તેમણે ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેતું નથી.

(11:22 pm IST)