Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વડોદરાના રાજમહેલ રોડની 10 દુકાનોના તાળા તૂટતાં ચકચાર....

વડોદરા:  શહેરના રાજમહેલ રોડ પર આવેલા વ્રજ સિદ્ધિ ટાવરના બીજા અને ત્રીજા માળે ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ 10 ઓફિસના તાળા તોડતા ચકચાર મચી હતી. નવાપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજમહેલ રોડ પર વ્રજ સિદ્ધિ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં મોબાઈલ ફોનની દુકાનો આવેલી છે તેમજ બાકીના ત્રણ માળમાં વિવિધ કંપનીઓ ની તેમજ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. ગતરાત્રે વ્રજ સિદ્ધિ ટાવરના બીજા અને ત્રીજા માળે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દસ જેટલી ઓફિસોના મુખ્ય દરવાજાને મારેલા તાળા નકૂચા સાથે તોડી નાખ્યા હતા. આજે સવારે આ બનાવની જાણ થતાં ટાવરના દુકાનદારો અને ઓફિસ સંચાલકો કર્મચારીઓમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે નવાપુરા પોલીસ મથકના પી.આઇએ જણાવ્યું હતું કે ટાવરના માત્ર બીજા અને ત્રીજા માળે આવેલા ઓફિસોના દુકાનના તાળા તૂટ્યા છે પરંતુ એક ઑફિસમાંથી તસ્કરો કોઇ ચીજની ચોરી કરી ગયા નથી. ઓફિસોના ટેબલો પર કોમ્પ્યુટર અને લેપટોપ પણ યથાવત્ સ્થિતિમાં જોવા મળ્યા છે એટલું જ નહીં આ બનાવની ફરિયાદ કરવા માટે પણ હજી સુધી કોઈ તૈયાર થયું નથી.પોલીસ દ્વારા આ બનાવની ફરિયાદ કરવા માટે ઓફિસના સંચાલકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ ચોરીમાં કોઈ ચીજ ગઈ નથી માટે ફરિયાદ નોંધાવી નથી તેમ કહીને ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.જોકે પોલીસે વ્રજ સિદ્ધિ ટાવર તેમજ આસપાસમાં લગાવેલા CCTV કેમેરાની ચકાસણી શરૂ કરી છે અને ઓફિસના તાળા કયા કારણસર તોડવામાં આવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ ટાવરના બેસમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ દુકાનો છે પરંતુ આ દુકાનોમાંથી કોઈ ચીજ ચોરી થઈ નથી.

(4:54 pm IST)