Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

અમદાવાદીઓને ઝડપથી મળશે મેટ્રો રેલની સુવિધા : પ્રથમ તબક્કાનું 82 ટકા કામ પૂર્ણ

વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિમીના રૂટ પર મેટ્રો રેલ કામ ચાલુ :બાકીની લંબાઈનું 82 ટકા કામ પૂર્ણ થઈ ગયું

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રો રેલના  પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે પૂર્ણ થશે. મેટ્રો રેલ  આ વર્ષે જ દોડવા લાગશે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયાએ આ માહિતી વિધાનસભામાં આપી હતી. મંત્રી મોરડિયાએ જણાવ્યું હતું કે અગ્રતાના ધોરણે વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિમીના રૂટ પર મેટ્રો રેલ કામ કરી રહી છે. જ્યારે બાકીની લંબાઈનું 82 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરના પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 4 ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્ર સરકાર પાસે અમદાવાદ મેટ્રો રેલના બીજા તબક્કા માટે ડીપીઆર મંજૂર કરવાની માંગણી કરી હતી. તેના પર સકારાત્મક પ્રતિસાદ આપીને 31મી ડિસેમ્બર 2021ના રોજ છેલ્લા બે વર્ષમાં શેર અને એડવાન્સ રકમ તરીકે કેન્દ્ર સરકાર પાસેથી 201.61 કરોડ રૂપિયા મળ્યા છે.

2016માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં મેટ્રો માટે જમીન ઉપલબ્ધી માટે કુલ 81.69 કરોડ રૂપિયા ચૂકવાયા છે. મેટ્રોમાં ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ ગામનો 20.91 કિલોમીટરનો અને વાસણાના APMCથી મોટેરા સુધી 19.12 કિલોમીટર વિસ્તારનો સમાવેશ કરાયો છે.

ફેઝ-1ના સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશનમાં વાસણા એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીઆશ્રમ, સ્ટેડિયમ, જુની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, સાબરમતી, મોટેરા સ્ટેડિયમ, વસ્ત્રાલ, નિશંત પાર્ક, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલપાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન, શાહપુર, સ્ટેડિયમ, કોમર્સ છ રોડ, ગુજરાત યુનિવર્સિટી, ગુરૂકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ રેલ્વે સ્ટેશન બનશે. આમ, મેટ્રોમાં કુલ 32 રેલવે સ્ટેશન હશે. જેમાં 28 એલિવેટર અને 4 અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના ફેઝ-1માં 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવાશે. જેમાં અપ અને ડાઉન ટ્રેન માટે જમીનથી લગભગ 18 મીટર નીચે બે ટનલ તૈયાર છે. બંને ટનલને દર 50 મીટરના અંતરે પેસેજથી જોડવામાં આવી છે, જેથી આકસ્મિક સમયે લોકો સરળતાથી આ પેસેજ દ્વારા બહાર નીકળી શકશે. બંને ટનલ વચ્ચે 6.5 મીટરનું અંતર હશે. ટનલની અંદરનો ડાયામીટર 5.8 મીટર અને બહારનો ડાયામીટર 6.35 મીટર છે.

(11:35 pm IST)