Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ગાંધીધામના મીઠીરોહર પાસે ગમખ્વાર અકસ્માત :કાર ચાલકે ટક્કર મારતા છકડો રિક્ષામાં સવાર બે શ્રમિકોના મોતઃ ૫થી ૬ લોકો ગંભીર

અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા રીક્ષામાં સવાર મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા

ભુજ :પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહર ધોરીમાર્ગ પર આજે સાંજે અજાણ્યા કાર ચાલકે મુસાફરો ભરેલી છકડો રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થયા છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો.

મીઠીરોહર પાસે સર્જાયેલા અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ મુસાફર ભરેલી છકડો રીક્ષા ગાંધીધામ બાજુથી મીઠીરોહર તરફ આગળ વધી રહી હતી. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા

પીઆઈ કિરણબેન સાગઠિયાએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કે મૃતકો અને ઘાયલો પરપ્રાંતીય શ્રમિકો જણાય છે અને તેઓ રીક્ષામાં જતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના સ્થળે લોહીથી લથબથ અને પીડાથી કણસતાં શ્રમિકોની અરેરાટીભરી વીડિયો ક્લિપ વોટસએપ પર વાયરલ થઈ છે. દુર્ઘટના અંગેની વધુ વિગતો અહીં અપડેટ થતી રહેશે.

(9:54 pm IST)