Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સ્મશાનમાં ચાર્જ વધારાતા રોડ પર પરિવારે અંતિમ સંસ્કાર કર્યા

કોરોનાના કારણે ગરીબોની કફોડી સ્થિતિ : સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા માટેની ફી સત્તાધીશોએ ૨૫૦૦ રૂપિયા કરી દેતા ચોંકાવનારી ઘટના બની હતી

સુરત, તા.૨૬ : સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા માટે લેવાતા ચાર્જમાં વધારો કરતાં અને તે ચાર્જ ચૂકવવાનું ન પરવડતા મંગળવારે, સુરત જિલ્લાના એનઆરઆઈ ગામ એનામાં ૪૫ વર્ષીય મજૂરના પરિવારે રોડ પર તેમની અંતિમ ક્રિયા કરી હતી. સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા માટેની ફી સત્તાધીશોએ ૨૫૦૦ રૂપિયા કરી દેતા આ ચોંકાવનારી ઘટના બની હતી. સમાજના સભ્યો પાસે લાંબી બીમારીથી મૃત્યુ પામેલા ખેતમજૂર મોહન રાઠોડની અંતિમ ક્રિયા રોડ પર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મોહનનો પરિવાર ખૂબ ગરીબ છે અને મહામારીના આ સમયમાં તેઓ પૈસા ચૂકવવા માટે સક્ષમ નથી', તેમ પાડોશી અર્જુન રાઠોડે જણાવ્યું હતું.

મોહનના પરિવારમાં તેની ૬૦ વર્ષીય માતા મનુ તેમજ બે દીકરા જયેશ (૧૭) અને દેવ (૧૨) છે. તેનું મોત મંગળવારે વહેલી સવારે ૨ વાગ્યે થયું હતું. સવારે ૭ વાગ્યે મૃતદેહને સ્મશાનમાં લઈ ગયા બાદ જ્યારે પાડોશીઓ ચાવી લેવા ગયા ત્યારે સત્તાધીશોએ તેમને માહિતી આપી કે ફી વધારીને ૨૫૦૦ રૂપિયા કરી દેવાઈ છે. ત્યારબાદ પરિવાર અને મિત્રોએ તેમના હળપતિ સમાજના સભ્યોને જાણ કરી હતી. ગ્રામજનોને કોઈ ઉપાય ન મળી આવતા આખરે ઘરે-ઘરેથી લાકડા ઉઘરાવીને બપોર બાદ રોડ પર અંતિમ ક્રિયા કરવામાં આવી હતી', તેમ બિઝનેસમેન ભરત રાઠોડે કહ્યું હતું. એનામાં આશરે ૩૫૦૦ની વસ્તી છે અને દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ વિદેશમાં રહે છે. ગામમાં વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ, કોંક્રિટના રસ્તાઓ, ક્રિકેટ સ્ટેડિયમ જેવી સામાન્ય સુવિધાઓ છે, જે એનઆરઆઈ તરફથી મળેલા દાનમાંથી વિકસિત કરવામાં આવી છે.

(7:47 pm IST)