Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતના કતારગામમાંથી ભાગી ગયેલા પ્રેમી પંખીડા મહારાષ્‍ટ્રમાંથી ઝડપાયાઃ યુવતિને લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ

સુરત: કતારગામ વિસ્તારમાંથી એક મહિના પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાઓને પોલીસે મહારાષ્ટ્રના ખાનબારા પાસેથી ઝડપી લીધા હતા.  જો કે યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી જતા યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે હાલ બંન્નેને ઝડપી લીધા છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અમરોલી ખાતે રહેતા દિનેશ પ્રવીણ અડીયેસા એક મહિના પહેલા કતારગામ વિસ્તારમાં રહેતી 17 વર્ષ 9 મહિનાની સગીરાને ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ દરમિયાન નવ નિયુક્ત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે શહેરમાં ગુમ, અપહરણ થયેલા બાળકોને શોધવા અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના પગલે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સગીરાનું અપહરણ કરી જનારા દિનેશ અડિયેસા અને સગીરાને મહારાષ્ટ્રના ખાનબારા ગામેથી ઝડપી લીધા હતા.

પોલીસે સગીરાને કબ્જે કરીને તેના માતા પિતાને સોંપી હતી. જ્યારે સગીરાને ભગાડી જનારા આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુંબેશ હેઠળ જે અપહ્યત બાળકો પકડાય છે તે સામાન્ય દિવસો દરમિયાન પકડાતા નથી.

(4:55 pm IST)