Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સંઘાણી સાહેબની વિદાયને ૨૦ વર્ષના વ્હાણા વાઇ ચૂકયા

રાજકોટ : ગુજરાતની ગરિમાને આકાશી બુલંદી બક્ષી શકે તેવા મહાગુજરાતીઓમાં જેમની ગણના અવશ્ય થાય છે, તેવા અખબારી આલમના જાગૃત પ્રહરી અને સંનિષ્ઠ તંત્રી સ્વ.શ્રી હરસુખભાઇ સંઘાણીની વસમી વિદાયને વીસ વર્ષના વહાણા વાઇ ચૂકયા છે.

તેમ છતાં સમસ્ત ગુજરાતના લાખો માનવીઓના મસ્તિષ્કમાં સ્વ. શ્રી હરસુખભાઇના જવલંત અતિતના સંભારણા યથાવત રહ્યા છે, લાખો ગુજરાતીઓના હૃદયમાં એમની સ્મૃતિ ધરબાયેલી છે. એમની યાદ ધબકારાઓમાં ધબકી રહી છે.

ગુજરાતમાં એવું કોઇ અખબાર નથી જેણે સ્વ. હરસુખભાઇ સંઘાણીની કલમને બિરદાવી ન હોય. એવી કોઇ સામાજિક સંસ્થા નથી કે સ્વ. હરસુખભાઇની સેવા - નિષ્ઠાથી પરિચિત ન હોય. એવા કોઇ લેખક - પત્રકાર - કવિ કે અખબારનવેષ નથી જેમણે સ્વ. હરસુખભાઇની કલમ - કટારમાં છૂપાયેલી શકિતને પિછાણી ન હોય કે પછી એવો કોઇ વાચક પણ કદાચ નહીં હોય જેણે એમના તંત્રીલેખો, કોલમનો અન્ય હેતુમય લખાણનો આસ્વાદ માણ્યો નહીં હોય !

આમાં અતિશયોકિત નથી પણ એક સાચા ગુજરાતીની શકિતનો સાચુકલો માપદંડ છે.

સૌરાષ્ટ્રના અર્થકારણ બાબત તેમની જાણકારી, ઉંડી સુઝ અને તલસ્પર્શી જ્ઞાન સાથે સાથે પત્રકારત્વ ક્ષેત્રે આપેલા અનન્ય પ્રદાન થકી તેઓએ પ્રશંસનિય કાર્ય - સેવા કરી હતી જે નિર્વીવાદ છે.

ત્યારબાદ ૧૯૬૧થી શ્રી હરસુખભાઇ 'ફુલછાબ'માં વિવિધ જવાબદારીઓ સંભાળી, ૧૯૭૧માં મદદનીશ તંત્રી બન્યા અને ૧૯૭૫માં સ્વ. હિંમતભાઇ પારેખના અનુગામી તરીકે તેમની પસંદગી થઇ. ૧૯૭૫ના આરંભે શ્રી હરસુખભાઇ સંઘાણી તંત્રીપદે આરૂઢ થયા અને તેમણે એમની તાકાતને વિરતાનો પરચો દેખાડતા ગુજરાત હાઇકોર્ટમાં દેશમાં લદાયેલી કટોકટી અને સેન્સરશીપ સામે એક ઝુંબેશ ઉપાડી. સફળતાપૂર્વક ૨૩ વર્ષ સુકાન સંભાળ્યું અને તંત્રીપદના સ્થાનને માન-મરતબો ને ગરિમા અપાવી.

૫૦ વર્ષની દિર્ઘકાલિન પત્રકારત્વની કારકિર્દી દરમિયાન લખાયેલા તેમના હજારો તંત્રી લેખ અને અન્ય કટારોને પણ 'માઇલ સ્ટોન' ગણવામાં આવે છે.

શ્રી હરસુખભાઇ સંઘાણી રાજકોટ સ્થિત શ્રી સત્ય સાઇ હોસ્પિટલ, સવાણી કિડની હોસ્પિટલ અને રાજકોટ જિલ્લા સહકારી સંઘ સાથે સતત સંકળાયેલા રહેતા અને તે સંસ્થાઓની સેવાકિય પ્રવૃત્તિઓમાં મોખરે રહેતા. રાજકોટમાં વર્ષો પૂરાણા કોર્પોરેશન સંચાલિત 'અંતિમધામ'નું નવીનીકરણ કરવામાં એમણે અખબારી માધ્યમ વડે સક્રિય અગ્રેસર રહી ઉપરોકત કાર્ય પૂર્ણ કર્યું. આ મહામાનવને સત્ સત્ વંદન.

એક અવિસ્મરણીય અંજલિ...

જે ક્રિયા કરવાથી શકિત ઉત્પન્ન થતી હોય તો તે સાધના છે. શકિતના પાંચ ક્ષેત્રો છે. જેમાં જનશકિત, ધનશકિત, શસ્ત્રશકિત, યંત્રશકિત અને કલમશકિતનો સમાવેશ થાય છે. આ બધામાં કલમશકિત સૌથી વધુ પ્રબળ છે. સુપરશકિત છે. પણ જો તેનો ઉપયોગ રાષ્ટ્રના અને સમાજના હિતમાં થતો હોય તો... સ્વ. હરસુખભાઇ સંઘાણીએ પોતાની કલમશકિતનો આવો સદ્ઉપયોગ કરી જાણ્યો હતો. તેઓએ પત્રકારત્વના આદર્શો જાળવી રાખ્યા હતા. પીળા પત્રકારત્વની દૂષિત કળાથી તેઓ હંમેશ અળગા રહ્યા હતા. સૌરાષ્ટ્રની લોકજાગૃતિનું ઘડતર જેમના દ્વારા થયું એવા આજીવન પત્રકાર સ્વ. હરસુખભાઇ સંઘાણીને જેટલી અંજલિ અર્પીએ, નમસ્કાર કરીએ એટલા ઓછા છે.

- સ્વામી સચ્ચિદાનંદજી

(3:35 pm IST)