Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદના બાપુનગરની પ્રાથમિક સ્કૂલના શિક્ષિકાનું કોરોનાથી મોત

ગ્રામ્ય જિલ્લાની સ્કૂલોના પાંચ જેટલા શિક્ષકો કોરોનાથી જીવ ગુમાવ્યો

અમદાવાદમાં કોરોના વાયરસ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. અમદાવાદ જિલ્લામાં વધુ એક શિક્ષકનું કોરોનાથી મોત થયું છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાપુનગરમાં આવેલી શ્રીજી પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા કોકિલાબેન પટેલ કોરોના સંક્રમિત થયા હતા જેઓનું સારવાર બાદ આજે મોત નીપજ્યું હતું.

આ પહેલા અમદાવાદમાં ચાર શિક્ષકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાના બે શિક્ષકો તેમજ અમદાવાદની માધ્યમિક સ્કૂલના એક શિક્ષકનું પણ કોરોનાથી મોત થયું હતું ત્યાર બાદ તાજેતરમાં અમદાવાદ ગ્રામ્યમાં દસ્ક્રોઈ તાલુકામાં આવેલી લક્ષ્‍મીપુરા પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા રીટાબેન પાવાગઢીનું પણ કોરોનામા મોત થયું હતું.

અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય જિલ્લાની સ્કૂલોના પાંચ જેટલા શિક્ષકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે અને જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જોકે થોડા દિવસ અગાઉ અમદાવાદના પૂર્વમાં રહેતા અને ખેડાની સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનું પણ કોરોનાથી મોત થયું હતું.

(8:09 pm IST)