Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : ત્રણ ઇંચ વર્ષા

ગીરગઢડાના જસાધાર અને ગીર જંગલમાં ત્રણ ઇંચ સુધી વરસાદ : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ જ રહેતા તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલા : અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ

અમદાવાદ, તા.૨૫ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો. જો કે, અમદાવાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ બ્રેકની સ્થિતિ રહી હતી. જો કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગીરગઢડાના જસાધાર અને ગીર જંગલમાં કલાકોના ગાળામાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ થતાં અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ અરવલ્લી, સાબરકાંઠા, વડાલી, મોડાસામાં પણ એક ઇંચથી પણ વધુ વરસાદ થયો છે જેથી વરસાદી માહોલ વિવિધ ભાગોમાં અકબંધ રહ્યો છે. આજે ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહેતા ખેડૂત સમુદાયના લોકોએ રાહત અનુભવી હતી.

   આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરુચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ અરેબિયન દરિયા પર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના કારણે વરસાદી માહોલ જામેલો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે અને વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૪૭૦ મીમીથી વધુ વરસાદ થયો છે. બીજી બાજુ રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૯૦ ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૩૯૪૭૫૧ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે. રાજ્યમાં થયેલા સાવર્ત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે રાજ્યના જળાશયોમાં ૨૬ ટકા વધુ પાણી છે.

   સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યભરમાંથી આજની તારીખ ૨૩-૦૮-૨૦૧૯ સુધીમાં ૯૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૯૫ ટકા અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૭.૩૩ ટકા જેટલો નોંધાયો છે. કચ્છ ઝોનમાં ૧૦૨.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૪.૬૧ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો. ઉત્તર ગુજરાતની ૧૫ યોજનામાં ૩૧.૧૨ ટકા, મધ્ય ગુજરાતની ૧૩ યોજનામાં ૯૩.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતની ૧૩ યોજનાઓમાં ૭૯.૨૧ ટકા, કચ્છની ૨૦ યોજનામાં ૬૧.૩૮ ટકા અને સૌરાષ્ટ્રની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

    રાજ્યના ૨૦૪ જળાશયો પેકી ૩૪ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.  ૫૧ જળાશયો ૭૦ ટકા થી ૧૦૦ ટકા વચ્ચે, ૧૯ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે, ૪૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આમ, રાજયરના જળાશયોની સ્થિતિ એકંદરે સારી બની રહી છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઇ છે. બીજી બાજુ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આજે પણ જારી રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

(9:38 pm IST)