Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગરીબી હટાવોના નારા સાથે કોંગીએ ૫૫ વર્ષ રાજ કર્યું છે

૫૫ વર્ષ કોંગ્રેસને ગરીબો યાદ ન આવ્યા : ભરત પંડ્યા : દર રૂપિયે ૮૫ પૈસા સુધી ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસે લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હોવાથી યોજનાઓ અધુરી

અમદાવાદ,તા.૨૫ : પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસની ગરીબો માટેની છેતરામણી જાહેરાત અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આ દેશમાં આઝાદી પછી ૫૫ વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યુ, છેક ૧૯૭૧ થી ''ગરીબી હટાવો''ના માત્ર નારા સાથે કોંગ્રેસ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરતી રહી, ત્યારે ન તો સાચા અર્થમાં ગરીબો યાદ આવ્યા કે ન કોઇ નક્કર યોજનાઓનો ગરીબી નિવારણ માટે  અમલમાં મૂકી શકી. હવે જ્યારે કોંગ્રેસને ખબર છે કે, તે ક્યારેય પુનઃસત્તા ઉપર આવવાની નથી ત્યારે ગરીબોના નામે છેતરામણી જાહેરાતો કરીને ''વચને શું કીમ દરિદ્રતા'' ની સંસ્કૃતઉક્તિને યથાર્થ ઠેરવી રહી છે. જેમાં દેશની ગરીબ તથા મધ્યમ વર્ગની પ્રજા ક્યારેય ભ્રમિત થવાની નથી. ૯૦ના દાયકામાં તત્કાલિન કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતુ કે, હું કેન્દ્રમાંથી ૧ રૂપિયો મોકલું છું તો માત્ર ૧૫ પૈસા નીચે ગરીબો સુધી પહોંચે છે. આમ, પ્રત્યેક રૂપિયે ૮૫ પૈસાનો ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસે ગરીબોને સાચા અર્થમાં લાભ પહોંચે તેવી કોઇ યોજનાનો અમલ કર્યો નથી. યુપીએના ૧૦ વર્ષના શાસનમાં આકાશ, પાતાળ અને જમીન ઉપર ૧૦ લાખ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસ કયા મોઢે ગરીબોની વાત કરે છે ? તાજેતરમાં મધ્યપ્રદેશ તથા રાજેસ્થાનમાં કિસાનોના દેવાના નાબૂદ કરવાની છેતરામણી જાહરેાત કરીને સત્તા પ્રાપ્ત કરનાર કોંગ્રેસે અત્યાર સુધીમાં કેટલા કિસાનોના દેવા માફ કર્યા? તેની સમ્રગ દેશની જનતાને તથા કિસાનોને સત્ય હકિકત સમજાઇ ચૂકી છે. ઘણા કિસ્સાઓમાં કિસાનોના ૧૨ કે ૨૪ રૂપિયા સુધીના દેવા માફ કરીને ત્યાની સ્થાનિક કોંગ્રેસ સરકારોએ કિસાનોની ક્રુર મજાક ઉડાવી છે. કર્ણાટકમાં ખેડુતોના ૪૪ હજાર કરોડના દેવા નાબૂદીની જાહેરાત કરનાર કોંગ્રેસ આજસુધી ૪ હજાર કરોડના દેવા પણ માફ કરી શકી નથી. આ છે કોંગ્રેસની નીતિરીતિ..!કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના હંમેશા જુદા રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપાની કેન્દ્ર સરકારે વચેટિયાઓની સંપૂર્ણ નાબૂદી કરીને ૩૦ થી વધારીને ૪૩૩ કરતાં વધુ યોજનાઓના સીધેસીધા લાભ ગરીબોના ખાતામાં જમા થાય તે રીતે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા દેશના ૪ લાખ કરોડથી વધુ નાણાં ગરીબોના હાથમાં પહોંચાડ્યા છે. વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજના આયુષ્યમાન યોજના દ્વારા ૫ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય સહાય નિશુલ્ક રીતે ઉપલબ્ધ કરાવીને દેશના ૫૦ કરોડથી વધુ ગરીબ તથા મધ્યમ વર્ગના નાગરિકોને સંકટ સમયે એક મોટો સધિયારો સાચા અર્થમાં પૂરો પાડ્યો છે. ૮ કરોડ પરિવારોને શૌચાલયની સૂવિધા, ૬ કરોડ મહિલાઓને ઉજ્જવલા ગેસ યોજના દ્વારા ગેસ કનેક્શન ફાળવીને ચૂલાના ધુમાડામાંથી મુક્ત કરવાનું ભગિરથ કાર્ય હાથ ધરીને, પીએમ કિસાન યોજના દ્વારાખેડુતોના ખાતામાં ૬ હજાર રૂપિયા સીધેસીધા ટ્રાન્ફર કરીને તથા સમગ્ર દેશમાં અન્ન સુરક્ષા યોજના લાગુ કરીને ગરીબોને ૨ રૂપિયે કિલો ઘઉં તથા ૩ રૂપિયે કિલો ચોખા ઉપલબ્ધ કરાવીને દરિદ્રનારાયણની સાચા અર્થમાં સેવા કરવાનું ઉમદા કાર્ય કર્યુ છે.

 

 

 

 

(9:22 pm IST)