Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોના ટેસ્ટિંગમાં કોરોનાના વધુ 23 પોઝિટિવ કેસો મળ્યા

રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ 15 પોઝીટીવ કેસ મળ્યા: 8 દર્દીઓને કોવીડ કેસ સેન્ટરમાં અને 15 દર્દીઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા

અમદાવાદ રેલવે સ્ટેશને જુદી જુદી ટ્રેનોના મુસાફરોની કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં  23  પોઝિટિવના કેસ મળ્યા હતા. કાલુપુર રેલવે સ્ટેશને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત 18મા દિવસે ટેસ્ટિંગ હાથ ધરાયું હતું.  આજે 23માંથી સૌથી 13 કેસ માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેઇનોની સરખામણીમાં વધુ કેસો મળે છે. ગુરુવારે 1221 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 23 કેસો મળી આવ્યા હતા. આ 23 કેસો પૈકીના 8 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 15 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વિવિધ પગલાંઓ લીધા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝીટીવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો-કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોનો  ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 629 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 13 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 191 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 8 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 401 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1221 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 23 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

 

(11:14 pm IST)