Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

છૂટછાટવાળાને પણ રાત્રે નવ પછી જવા ના દેવાયા

અમદાવાદમાં બે બ્રિજ પર પોલીસના અલગ નિયમો : રાતના સમયે એવા લોકોને કર્ફ્યૂ દરમિયાન રોકીને પરેશાન કરવામાં આવ્યા કે જેને મુક્તિની મંજૂરી આપવામાં આવી છે

અમદાવાદ,તા.૨૪ : એક જ શહેરમાં બે અલગ-અલગ નિયમ હોય તો ચોક્કસ લોકોને તેનાથી આશ્ચર્ય થાય અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે, અમદાવાદમાં રાતના સમયે એવા લોકોને પણ કર્ફ્યૂ દરમિયાન રોકીને પરેશાન કરવામાં આવ્યા કે જેમને અગાઉથી જ કર્ફ્યૂ મુક્તિ મંજૂરી આપવામાં આવી છે. ઘટના એવી બની છે કે એલિસબ્રિજ પરથી કર્ફ્યૂ મુક્તિ ધરાવતા લોકો પસાર થવા માગતા હતા તેમને અટકાવાયા હતા જ્યારે જમાલપુરવાળા સરદાર બ્રિજ પરથી કર્ફ્યૂ મુક્તિ ધરાવતા લોકોને ઘરે પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો નહોતો કરવો પડ્યો. કોરોના વાયરસના કેસ વકરવાના કારણે અમદાવાદામાં રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આવામાં મેડિકલ સ્ટાફ કે ફ્રન્ટલાઈન વર્કર્સ છે તેમને કર્ફ્યૂ દરમિયાન આવન-જાવનની મુક્તિ આપવામાં આવી છે. આવામાં એલિસબ્રિજના છેડે પોલિસ કાફલો ઉતરી ગયો હતો અને કર્ફ્યૂનો ભંગ કરનારા લોકોને અટકાવીને પરત મોકલવામાં આવતા હતા જોકે, આ દરમિયાન જેમને છૂટછાટ આપવામાં આવી છે તેવા લોકોને પણ જવાની મંજૂરી ન અપાતા લોકો મુઝવણમાં મૂકાયા હતા. ડૉક્ટર અને મેડિકલ સાથે સંકળાયેલા લોકો પોતાની નોકરી પતાવીને રાત્રે જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને ૧૦ વાગ્યાની આસપાસ એલિસબ્રિજ પર અટકાવવામાં આવ્યા હતા. આવા સમયે કેટલાકે પોતે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને તેમને મુક્તિ અપાઈ હોવાની રજૂઆત કરી હતી જોકે, પોલીસ તેમની વાત માનવા તૈયાર જ નહોતી. આવામાં એક ૩૫ વર્ષિય મહિલા ડૉક્ટર આગળ આવ્યા અને તેમણે પોતાનું આઈકાર્ડ બતાવીને રજૂઆત કરી કે 'હું ડૉક્ટર છું, અને હોસ્પિટલમાંથી ફરજ બજાવ્યા બાદ અત્યાર ઘરે જઈ રહી છું.' પરંતુ તેમની વાત સાંભળવામાં ના આવતા ડૉક્ટર અકળાઈ ગયા હતા. આ રીતે અન્ય મેડિકલ સ્ટાફ પણ પોલીસ દ્વારા જવાની મંજૂરી આપવામાં ના આવતા અકળાયા હતા. પોતાને કર્ફ્યૂ દરમિયાન છૂટછાટો હોવા છતાં જવા દેવામાં ના આવતા અકળાયેલા લોકો સામે પોલીસે ફરિયાદ નોંધવાની વાત કરતા લોકો ડરના માર્યા ત્યાંથી પાછા જતા રહ્યા હતા. એવું પણ સામે આવ્યું હતું કે પોલીસ દ્વારા અહીંથી માત્ર રેલવે ટિકિટ હોય તેવા લોકોને જ જવા દેવામાં આવતા હતા. આવામાં પોતાને છૂટછાટ હોવા છતાં એલિસબ્રિજ પરથી પસાર ન થવા દેવાતા આ લોકો અન્ય માર્ગે ઘરે પરત જવા માટે ત્યાંથી નીકળી ગયા હતા. એલિસબ્રિજ કરતા જમાલપુર પાસેથી પસાર થતા સરદાર બ્રિજ પરથી પસાર થતા લોકો સાથે પોલીસનો વ્યવહાર સાનુકૂળ હતો. અહીં પોલીસ દ્વારા વાહનની તપાસ કર્યા બાદ જેમને છૂટછાટો મળેલી છે તેવા લોકોને આગળ જવા માટે મંજૂરી આપવામાં આવતી હતી આ સિવાયના લોકો કે જેઓ કર્ફ્યૂના નિયમનો ભંગ કરી રહ્યા હતા તેમને ત્યાંથી પરત મોકલવામાં આવ્યા હતા. આમ શહેરમાં આવેલા અલગ-અલગ બ્રિજ પર પોલીસના અલગ-અલગ નિયમોને જોઈને લોકોને આશ્ચર્ય થયું હતું. બીજી તરફ શહેરમાં કેટલાક સ્થળો પર મુખ્ય માર્ગને છોડીને અંદરની તરફ પાનના ગલ્લા, ચાની કિટલી વગેરે ખુલ્લા રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. આવામાં કડક કર્ફ્યૂના નિયમ છતાં રિપોર્ટ્સ મુજબ વાયરલ વિડીયોમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

 

(9:13 pm IST)