Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સુજલામ સુફલામ જળ અભિયાન- અમદાવાદ જિલ્લો જળ સંચયના ૪૧૫ કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં ૨૫૪.૭ લાખ ઘન ફૂટ વધારો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં જળ સંગ્રહ સંલગ્ન કામો હાથ ધરાયા હતા. જેના પગલે જિલ્લામાં સમગ્રતયા ૪૧૫ કામો હાથ ધરાયા અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં ૨૫૪.૭ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત આયોજનના પગલે સમગ્ર રાજ્યમા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાયું હતું. લગાતાર ચોથા વર્ષે યોજાયેલા આ અભિયાન અંતર્ગત અભૂતપૂર્વ સફળતા મળી છે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી કડીનો પ્રારંભ  1 એપ્રિલ 2021 ના રોજ કરાવ્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ તેના સારા પરિણામ પ્રાપ્ત થયા છે. જિલ્લામાં જળ સંચયના વિવિધ પ્રકારના ૪૧૫ કામો હાથ ધરાયા અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં ૨૫૪.૭ લાખ ઘન ફૂટનો વધારો થયો છે હોવાનું જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.
આ કામ થકી અમદાવાદ જિલ્લામાં ૭,૨૧,૨૩૦ ઘન મીટરનું ખોદાણ થયું છે અને છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ  ૧૮,૩૨૫ માનવ દિનની રોજગારી પેદા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સૂફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ એમ કુલ ત્રણ વર્ષમાં સંગ્રહ શક્તિમાં અનુક્રમે ૩૯૧.૬ લાખ ઘન ફૂટ, ૩૮૩.૮ લાખ ઘન ફૂટ અને ૨૨૨.૫ લાખ ઘન ફૂટનો વધારો થયો હતો.  
અત્રે ઉલ્લેખનીય છે કે,  કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છે  
વિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે  ૦૧ એપ્રિલથી ૧૦ જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે.
રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.                                   
(માહિતી સૌજન્ય - હિમાંશુ ઉપાધ્યાય)

(6:58 pm IST)