Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

નાના બાળકો સાથે રથયાત્રા કાઢનાર ૪ સામે ગુનો નોંધાયો

શાહપુરના નાગોરીવાડમાં રથયાત્રા નિકાળી હતી : આ રથયાત્રામાં રથ, ટ્રકો, અખાડાઓ, ભજન મંડળીઓ લાકડાના હતા અને બાળકોએ લારીમાં રથ ખેંચ્યા હતા

અમદાવાદ, તા. ૨૩ :  શહેરના શાહપુર વિસ્તારમાં બાળકો સાથે મિની રથયાત્રા કાઢનારા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાં પોલીસ પરવાનગી વગર બાળકોને સાથે રાખીને મિની રથયાત્રા કાઢવામાં આવી હતી. જેથી આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ધરપકડ બાદ તેમને જામીન પર મુક્ત પણ કરી દેવાયા હતા. શાહપુરમાં બાળકો સાથે કાઢવામાં આવેલી આ રથયાત્રામાં  રથ, ટ્રકો, અખાડા, ભજન મંડળી લાકડાના હતા અને બાળકોએ લારીમાં રથ ખેંચ્યા હતાં. પોલીસની પરવાનગી વગર આ મિની રથયાત્રામાં ૩૦૦ થી વધુ લોકો જોડાયા હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ચાર શખ્સની ધરપકડ કરી હતી.

         પ્રાપ્ત વિગતો મુજબ જય રણછોડ, માખણચોરના નાદ સાથે સોમવારે સવારે ૧૧.૦૦ વાગ્યે શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાંથી કાઢવામાં આવેલી મિની રથયાત્રા નવી વડવાળી પોળ ખાતે પૂર્ણ થઈ હતી. જો કે, બાળકો સાથેની મિની રથયાત્રાનો વિડીયો  સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. બાદમાં આ વિડીયો શાહપુર પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. પીઆઈના જણાવ્યુ મુજબ, બાળકો સાથે રથયાત્રા યોજનારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૧૪૩ વર્ષમાં આજે પહેલીવાર જગન્નાથ મંદિરેથી રથયાત્રા અમદાવાદના રસ્તા પર ફરવાને બદલે માત્ર મંદિરના પ્રાગણમાં જ ફરી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરતાં આજે સવારની મંગળા આરતી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનું વિધિવત્ રીતે પ્રસ્થાન થયું હતું, પરંતુ રથ મંદિરની બહાર નહોતા નીકળ્યા. દર વર્ષની માફક આ વર્ષે પણ ખલાસી ભાઈઓ રથ ખેંચવા માટે મંદિરે વહેલી સવારે પહોંચી ગયા હતાં. તેમણે ત્રણેય રથને ખેંચીને મંદિરના પ્રાંગણમાં ફેરવ્યા હતાં. આ ઘટનાના અનેક ભક્તો પણ સાક્ષી બન્યા હતાં. રથ જ્યારે મંદિરમાં ફરી રહ્યા હતાં ત્યારે સમગ્ર જગન્નાથ મંદિર જય રણછોડ માખણચોરના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

(10:43 pm IST)