Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજ્યના નિવૃત એડી,ડીજીપી અને વકફ બોર્ડના પૂર્વ ચેરમેન એઆઇ સૈયદનું કોરોનાથી નિધન

નિવૃત થયા બાદ એ.આઈ સૈયદ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા.

અમદાવાદ: ગુજરાત પોલીસના નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદનું આજે સાંજે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. નિવૃત થયા બાદ એ.આઈ સૈયદ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જોકે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા.પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે.

ગાંધીનગર પોલીસ ભવનમાં એડી.ડીજી તરીકે નિવૃત થયેલા એ.આઈ.સૈયદની ગણના બાહોશ અધિકારી તરીકે થતી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં તેઓ ફરજ બજાવી ચુક્યા હતાં. એઆઇ સૈયદ વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે.

2002ના તોફાનોમાં એ.આઈ સૈયદ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તોફાનીઓ તેમની સરકારી ગાડી ઘેરી લઈને હુમલો કર્યો હતો. જોકે સમયસર પોલીસ કાફલો પહોંચી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટનામાં પણ જાનનું જોખમ હોવા છતાં નિવૃત આઈપીએસ એઆઇ સૈયદે હિંમત દાખવી તોફાનીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાનમાં પોલીસ પહોંચી ગઈ હતી. નિવૃત આઈપીએસ સૈયદની મોટી પુત્રી ડૉકટર તરીકે અમેરિકામાં પ્રેક્ટિસ કરે છે.નાની દીકરી ડેન્ટિસ્ટ છે. જ્યારે પુત્ર વડોદરા ખાતે રહે છે

(10:22 pm IST)