Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રથયાત્રા કાઢવાની જાહેરાત કરનારા ૬ને ડિટેઈન કરાયા

અર્જુન આશ્રમમાં પોલીસ કાફલો ખડકાયો : એએચપી અને રાષ્ટ્રીય બજરંગદળનાં પ્રદેશ મંત્રી નિકુંજ પારેખ સહિત કાર્યકરોએ ઘોષણા કરી હતીઃચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ, તા. ૨૨ : જગન્નાથ મંદિરથી ૧૪૩મી રથયાત્રા ના કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટનાં હુકમ બાદ પણ રથયાત્રા કાઢવાની માંગણી જોરશોરથી થઈ રહી છે. રથયાત્રા કાઢવાની માંગણી સાથે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગદળનાં પ્રદેશ મંત્રી નિકુંજ પારેખ સહિતનાં કાર્યકરોએ જાહેરાત કરી હતી. આજે જગન્નાથ મંદિર ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે દિલીપદાસજી મહારાજને રથયાત્રા નીકળવી જોઈએ તેવી રજુઆત કરવા કાર્યકરો જવાના હતાં. જો કે પોલીસે ગત રાતથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) નાં પ્રદેશ મંત્રી સહિત ૬ લોકોને ડિટેઈન કર્યા તેમજ સવારથી અર્જુન આશ્રમ ખાતે ૨૦૦ જેટલી પોલીસની ફોજ ખડકી દેવાઈ છે. નિકુંજ પારેખે એવો દાવો કર્યો છે કે, ભલે પોલીસે અમને ડિટેઇન કર્યા પણ અમારી બીજી ટીમો આજનો કાર્યક્રમ પર પાડશે અને આવતી કાલે રથયાત્રા પણ નીકળશે. પોલીસે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોને ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

           ચાંદલોડિયા અર્જુન આશ્રમ ખાતે કેટલાંક કાર્યકરો એકત્ર થયાની વિગત મળતા પોલીસ કાફલો આશ્રમ પર ખડકી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ કોરોના વાયરસના વધી રહેલા કેસનાં કારણે ૧૪૨ વર્ષમાં પ્રથમ વાર ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. અમદાવાદમાં ૧૪૨ વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલી વાર તૂટવા જઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઈ હતી. જેનો ચુકાદો આપતા હાઈકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહીં કાઢવા માટેનો આદેશ અપાયો હતો.

            કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યાર બાદ ગઈકાલે સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા અને અમદાવાદ સીપી સહિત મંદિરનાં ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જગન્નાથ મંદિરનાં મંહત દિલીપદાસજીએ ભાવુક થઈને જણાવ્યું કે, "આ વખતે મંદિર રથયાત્રા કાઢશે નહીં. માત્ર મંદિરમાં પૂજા અને અર્ચના કરવામાં આવશે. તો તેઓએ એમ પણ જણાવ્યું હતું કે પહિંદ વિધિ માટે સીએમ રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ પાઠવવામાં આવશે. લોકો ઘરે બેસીને દર્શન કરી શકે તેવી રીતે ભક્તોને દર્શન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અષાઢી બીજનાં દિવસે મંગળા આરતી અને પહિંદ વિધિ કરવામાં આવશે અને રથને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે.

(9:56 pm IST)