Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આણંદ જિલ્લાના બોરસદ-ધુવારણ રોડ નજીક રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી કાર સામે નીલગાય આવતા ગમખ્વાર અકસ્માત:બે શખ્સોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા

આણંદ:જિલ્લાના બોરસદ-ધુવારણ રોડ ઉપર આવેલ કસારી ગામ નજીક ગઈકાલ મોડી રાત્રિના સુમારે પુરઝડપે જઈ રહેલ એક કારના ચાલકે રસ્તામાં નીલગાય આડે આવતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે શખ્શોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. 

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખંભાત તાલુકાના ધુવારણ ગામે વચલાપુરા ખાતે રહેતા નરેન્દ્રસિંહ જગદીશભાઈ સિંધા તથા ધુવારણ ખાતે રહેતા રજત હિતેષકુમાર પંડયા અને નિમેષકુમાર અશોકભાઈ સિંધા તેમજ સંદિપસિંહ મહીપતસિંહ સિંધા ગઈકાલ સાંજના સુમારે ધુવારણથી બોરસદ ખાતે એક કારમાં સવાર થઈ જમવા માટે આવ્યા હતા. બોરસદની વાસદ ચોકડી ખાતે જમ્યા બાદ આ ચારેય મિત્રો કારમાં સવાર થઈ ધુવારણ જવા માટે પરત નીકળ્યા હતા. દરમ્યાન તેઓની કાર બોરસદ ધુવારણ માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે કસારી ગામના બસ સ્ટેન્ડ નજીક નીલગાય આડી આવતા ચાલક સંદિપસિંહે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ઈજાગ્રસ્ત યુવકોને બહાર કાઢ્યા હતા. દરમ્યાન રજત હિતેષકુમાર પંડયા તથા નિમેષભાઈ અશોકભાઈ સિંધાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોઈ બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે સંદિપસિંહને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ઈજાઓ થતા બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે કરમસદ ખાતેની મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે નરેન્દ્રસિંહ જગદીશસિંહ સિંધાની ફરિયાદના આધારે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:13 pm IST)