Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુરતમાં ડાયમંડ ઉદ્યોગકાર કનુભાઇ આસોદરીયા દ્વારા વિશ્વના દુર્લભ ગણેશજીની સ્‍થાપનાઃ કિં. 600 કરોડ રૂપિયા

સુરત: આજે સમગ્ર દેશમાં ઘરે ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જોકે સુરતમાં એક ડાયમંડ ઉદ્યોગકારે પોતાના ઘરમાં વિશ્વના દુર્લભ ગણેશજીની સ્થાપના કરી છે. જેની કિંમત અંદાજીત 600 કરોડ રૂપિયા છે. વિદેશમાં રફ ડાયમંડની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો આ ડાયમંડ તેમને મળ્યો હતો. વર્ષો સુધી તેઓએ તેનુ જતન કર્યું છે. આ રફ ડાયમંડની પ્રતિકૃતિ જેને પણ મળી છે તેના નસીબ ચમકે છે તેવુ તેઓનું કહેવું છે. તેથી તેઓએ અમિતાભ બચ્ચન સહિત દેશની 25 હસ્તીઓની તેની ફોટોફ્રેમ મોકલી છે.

ગણેશ ચતુર્થી નિમિતે આજે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં કોરોના વચ્ચે પણ અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના કનુભાઈ આસોદરિયાએ પોતાના ઘરમાં વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. એક સમયે તેઓ વિદેશમાં રફ ડાયમંડની ખરીદી કરવા ગયા હતા, ત્યારે આ દુર્લભ ડાયમંડ તેમને મળ્યો હતો. જેમાં તેઓને ગણેશજીની મૂર્તિ હોવાનું દેખાયું હતું. દેશવિદેશમાં આ ગણેશજી પ્રખ્યાત છે. ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અને તેના આર્શીવાદ લેવા માટે અનેક લોકો ઉત્સુક છે.

ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના રાજકીય નેતા કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી ચૂક્યા. તેઓ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે. ત્યારે કનુભાઈ તેઓને પણ આ ગણેશજીની તસવીર મોકલવાના છે.

કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના આજે પોતાના ઘરઆંગણે કરી છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ હોવાની કહેવાય છે. ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન 182.3 કેરેટ છે અને 36.5 ગ્રામની છે. તમને જણાવી દઇએ કે, કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો છે. જ્યારે કે, આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જે કોહિનૂર હીરા કરતાં પણ વધુ છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે.

કનુભાઈનુ કહેવુ છે કે, આ ડાયમંડ ગણેશ લાભકર્તા છે. તેની તસવીર જેની પાસે પણ હોય તેના નસીબ ચમકી જાય છે. કનુભાઈએ ડાયમંડ ગણેશની પ્રતિમાને અમિતાબ બચ્ચન, નીતન ગડકરી, બાબા રામદેવ, અમિત શાહ સહિત 25 હસ્તીઓને મોકલાવી છે.

(4:43 pm IST)