Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

માતા-પિતા સાથે ખરાબ વ્યવહાર કરનાર પુત્રને મિલ્કતમાં કોઇ હિસ્સો નહિઃ પુત્રીઓને મળ્યો હકક

અમદાવાદ, તા.૨૨: માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરનારા બાળકો ચેતી જાય. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે માતા-પિતાને પીટનારા એક દીકરાને પ્રોપર્ટીમાં ભાગ આપવાને બદલે તેનું પઝેશન વિલમાં જણાવ્યા મુજબ બે દીકરીઓને આપી દીધુ હતુ. પરિવાર વચ્ચે સંપત્તિના ડખાને લઈને મામલો કોર્ટ સુધી પહોંચતા કોર્ટે આવો નિર્ણય આપ્યો હતો.

રમેશ પટેલ (નામ બદલ્યું છે)એ હાઈકોર્ટમાં તેના પિતા અને બે બહેનો સામે અપીલ ફાઈલ કરીને વડોદરામાં બંગલાના પઝેશનની માંગ કરી હતી. પટેલ અગાઉ વડોદરાની ટ્રાયલ કોર્ટમાં કેસ હારી હયો હતો. પટેલે હાઈકોર્ટને જણાવ્યું કે તેની માતાએ ૩ જુલાઈ ૨૦૦૩માં બનાવેલા વિલથી તેનો પ્રોપર્ટી પરનો અધિકાર છીનવી શકાય નહિ. આ દસ્તાવેજો કાયદાકીય દૃષ્ટિએ વેલિડ પણ ગણી ન શકાય. તેણે પીટિશનમાં જણાવ્યું કે ટ્રાયલમાં એ સ્પષ્ટ નથી કે વિલ સાક્ષીની હાજરીમાં માતા દ્વારા સાઈન કરાયું હતું કે નહિ.

આ ઉપરાંત બંગલામાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનો સમાવેશ થાય છે.. જો વિલ સ્વીકાર્ય ગણાય અને કાયદાકીય રીતે સાબિત કરી શકાય તો તેમાં ફકત બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરનો જ સમાવેશ થાય, પહેલા માળનો નહિ. આથી તેને બંગલાના પહેલા માળ પર રહેવાનો હક છે તેમ તેણે કોર્ટને જણાવ્યું હતું.

જો કે પિતા અને બે દીકરીઓએ તેના દાવાનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી કે માતાએ અમુક કારણોને ધ્યાનમાં રાખીને જ પુત્રને પ્રોપર્ટીમાંથી બાકાત રાખ્યો હતો. તેમણે ૨૧ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ પુત્ર વિરુદ્ઘ વડોદરા પોલીસમાં માતાએ કરેલી ફરિયાદની કોપી પણ સબમિટ કરી હતી. પુત્રએ તેના માતા-પિતા સાથે મારઝૂડ કરી હતી આથી જ માતા ચંદ્રકાંતા બહેન (નામ બદલ્યુ છે)એ વિલમાં બંને દીકરીઓને બંગલાની માલિકી આપી હતી. કોર્ટે કહ્યું કે બંગલામાં ફકત ગ્રાઉન્ડ ફ્લોરનો જ સમાવેશ થાય અને પહેલા માળ પર તે રહી શકે તેવી દલીલ સાવ પાયાવિહોણી છે.

કોર્ટે જણાવ્યું કે ચંદ્રકાંતાબેનના વિલમાં એવી કોઈ સ્પષ્ટતા નથી કે પહેલા માળે દીકરાને રહેવા દેવામાં આવે. કોર્ટે જણાવ્યું, રેકોર્ડમાં સ્પષ્ટ છે કે પુત્ર તેને અને તેના પતિને મારતો હોવાથી માતા દુઃખી હતી. પતિ હજુ જીવિત છે અને તેમણે જે કોર્ટને જણાવ્યું તે પણ ચંદ્રકાંતાબેનના વર્ઝનને મળતુ આવે છે. પોલીસ ફરિયાદમાં લખાયુ છે કે માતા પોલીસ અધિકારીઓ સામે ચીસો પાડીને વિનંતી કરી રહી હતી કે તેમને અને તેમના પતિને પુત્ર સામે પ્રોટેકશન આપવામાં આવે. ફરિયાદમાં જણાવાયું છે કે બંગલાનો મામલો આ મામલા સાથે સંકળાયેલો છે.

પોલીસ ફરિયાદ અને વિલને સાથએ વાંચવાથી સ્પષ્ટ થાય છે કે માતા પુત્રથી દુઃખી હતી અને તેના કુપુત્રને પ્રોપર્ટીમાં જરાય હિસ્સો આપવા માંગતી નહતી.

(3:56 pm IST)