Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદના સરસપુર વિસ્‍તારમાં 2 મસ્‍જીદમાં અજાણ્‍યા માણસો છુપાયા છેઃ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા જ પોલીસ ટીમોમાં દોડધામ મચી ગઇ

તપાસના અંતે કંઇ શંકાસ્‍પદ કે કોઇ વ્‍યકિતઓ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો

અમદાવાદ: રસ્તા પર શંકાસ્પદ વસ્તુ અને શંકાસ્પદ માણસો દેખાતા જ હવે જનતા એલર્ટ થઈ જાય છે. ત્યારે અમદાવાદના કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ થયું હતું. અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક મસ્જિદમાં અજાણ્યા માણસો છુપાયા છે તેવો કન્ટ્રોલ રૂમને મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. જોકે, મસ્જિદમા તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદના કન્ટ્રોલ રૂમ પર મેસેજ આવ્યો હતો કે, ‘સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમાં અજાણ્યા માણસો છુપાયા છે.’ સવારે 11 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમ પર મેસેજ મળ્યો હતો કે, ‘સરસપુર પોલીસ સ્ટેશનની બે અલગ અલગ મસ્જિદમાં કોઈ અજાણ્યા શખ્સો અલગ પ્રકારની ભાષા બોલી રહ્યા છે અને અંદર ઘૂસી રહ્યાં છે.’ ત્યારે મેસેજ મળતા જ શહેર કોટડા પોલીસે બંને મસ્જિદોમાં તપાસ શરૂ કરી હતી. મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

જોકે, તપાસના અંતે બંને મસ્જિદમાંથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ લોકોની શંકાનુ સમાધાન થયુ હતું. તેમજ કોઈ અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે વધુ તપાસ પણ કરશે.

(5:08 pm IST)