Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ખેડામાં અગમ્ય કારણોસર પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

ખેડા: કેમ્પમાં રહેતી પરિણીતાએ ખંડેર મકાનમાં ગળે ફાંસો ખાધાના બનાવમાં અનેક પ્રશ્નો ચર્ચાના ચકડોળે ચઢ્યા છે.જેમાં પત્નિએ ગળે ફાંસો ખાધો કે હત્યા કરવામાં આવી તેને લઈ સ્થાનિકોમાં તરહે-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા કેમ્પમાં પ્રકાશભાઈ સુરસંગ ગણાવા રહે છે. ગઈકાલે રાત્રે પ્રકાશ ગણાવા ઘરના ધાબા ઉપર સૂઈ ગયો હતો. આ દરમિયાન રાત્રિના સમયે શાંતાબેન ગણાવાએ બાજુના ખંડેર મકાનમાં ગળે ફાંસો ખાધો હોવાનું સવારે જાણ થઈ હતી. જેથી લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર જોવા ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પચાસેક ફૂટ ઊંચા ખંડેર મકાનની છત ઉપર ચઢી પરિણીતા કેવી રીતે ગળે ફાંસો ખાઈ લટકી પડી તે અંગે શંકાઓ થઈ રહી છે. શું મકાનની છત ઉપર ચઢી ગળે ફાંસો ખાઈ લટકી પડવું શક્ય છે ખરૂ ? તો બીજી બાજુ પરિણીતાની હત્યા કરી ગળામાં ફાંસો બાંધી લટકાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે ? તે અંગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. પતિએ પત્નિની હત્યા કરી ઘરની છત ઉપર ચઢી લટકાવી દઈ હત્યાને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા થઈ રહી છે. હાલમાં ખેડા ટાઉન પોલીસે ગળે ફાંસો ખાનાર શાંતાબેનના પતિ પ્રકાશભાઈ વસાવાની અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસની પૂછપરછ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. 

(6:44 pm IST)