Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા થેરાપીસ્ટનો યોગ ચિકિત્સા અંગે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયોઃ યોગ એ આત્માથી પરમાત્મા સુધી લઇ જતો ભારતીય સંસ્કૃતિ એ પ્રશસ્ત કરેલો માર્ગ છેઃ યોગ શરીર, મન, બુધ્ધિ અને આત્માને શુભ ભાવમાં લઇ જતી ચિકિત્સા પધ્ધતિ છેઃ વિજયભાઇ રૂપાણીઃ મુખ્યમંત્રીશ્રીએ ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા થેરાપીસ્ટની વેબસાઇટનું લોચીંગ અને 'યોગ્નોસીસ કોર ઓફ લોર' પુસ્તકનું વિમોચન પણ કર્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, યોગ આત્માથી પરમાત્મા સુધી લઇ જતો ભારતીય સંસ્કૃતિએ પ્રશસ્ત કરેલો માર્ગ છે. યોગ એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી ચિકિત્સા પધ્ધતિ છે જેનો આજે સમગ્ર વિશ્વ સાક્ષાત્કાર કરી રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 

ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા થેરાપીસ્ટના યોગ ચિકિત્સા અંગે રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યોગ શરીર, મન, બુધ્ધિ અને આત્માને શુભ ભાવમાં લઇ જતો અદભૂત માર્ગ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અન્ય સંસ્કૃતિઓમાં ફક્ત શારિરીક ક્રિયાઓને સ્થાન છે જ્યારે ભારતીય સંસ્કૃતિ મનથી આત્મા અને આત્માથી પરમાત્મા સુધીના ઐક્યના અનુસંધાનનું દર્શન કરાવે છે.

દુનિયા આખી ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહી છે તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી યોગને વૈશ્વિક સ્વિકૃતિ મળી છે અને ભારતનું માન-સન્માન યોગને લીધે વધ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે ઋષિ-મુનિઓએ યોગની વિરાસત આપણને વારસામાં આપી છે. જેના વડે સમગ્ર દુનિયા તંદુરસ્ત અને તણાવમુક્ત બની રહી છે. સારા ભાવ અને સારા વિચાર સાથે સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને સૌને સન્માન આપવાના ભાવ સાથે યોગ સુસંસ્કૃત સમાજ રચનામાં ચોક્કસ યોગદાન આપશે.

તેમણે કહયું કે, દુનિયાને યોગનું ઘેલું લાગ્યું છે ત્યારે આજે યોજાયેલ પરિસંવાદથી યોગના નવા દ્રષ્ટિકોણનો આવિર્ભાવ થશે અને તેના દ્વારા ધ્યાનથી સમાધિ અને સમાધિથી મોક્ષની ભારતીય સંસ્કૃતિની કલ્પના સાકાર થશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, યોગ એ રોગ ભગાવવા સાથે સૌને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવે છે. તેમણે યોગ થેરાપીસ્ટોનું મોમેન્ટો આપીને સન્માન પણ કર્યું હતું.

આ પ્રસંગે એલાયન્સ ઓફ યોગ થેરાપીસ્ટ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીશ્રી બીરજુ મહારાજ, અદાણી ફાઉન્ડેશનના શ્રીમતી પ્રીતિ અદાણી, પુનીતા આચાર્ય, સંજીવ ત્રિવેદી તથા દેશભરમાંથી આવેલા યોગ થેરાપીસ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

(1:45 pm IST)