Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નડિયાદના મરીડામાં કાંટાળી ડાળીઓ વચ્ચેથી યુવાનની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

નડિયાદ:તાલુકાના મરીડા ગોચરમાં કાંટાળી ડાળખીઓ વચ્ચેથી અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવક કોણ ? તેમજ કોણે હત્યા કરી અને કયા કારણસર હત્યા કરવામાં આવી તે અંગે લોકોમાં તરેહ તરેહની અટકળોએ જોર પકડ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદથી હાથજ જવાના રોડ પર મરીડા શકરીયા મહાદેવના ગોચર આવેલ છે. આ ગોચર કાંટાવાળી ડાળખીઓ વચ્ચે યુવાનની લાશ પડી હોવાની પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને તપાસ કરતા આ અજાણ્યો યુવાન ૨૫ થી ૩૦ વર્ષના આશરાનો તેના જમણા હાથના કાંડા ઉપર અંગ્રેજીમાં પીકે કોતરાવેલ છે. તેમજ જમણા હાથના બાવડા ઉપર દિલમાં પીકે કોતરાવેલ છે. તેણે શરીરે ભૂરું જીન્સ પેન્ટ તથા ચોકડી શર્ટ પહેરેલ છે. શરીરે મજબૂત બાંધાનો, ઘઉં વર્ણો છે. મૃતદેહ ઉપર ઉઝરડા થયેલા જોવા મળ્યા હતા જેથી તેની હત્યા કરીને લાશને ઢસરડીને અહીંયા લાવી ફેંકી દીધાનું કહેવાઈ રહ્યું છે.
નડીઆદ રૂરલ પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપી હતી અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર યુવાન કોણ અને ક્યાંનો છે તે બહાર આવ્યા બાદ રહસ્યના અનેક તાણાંવાણાં સર્જતી આ ઘટના પરથી પર્દાફાશ થાય તેમ છે. પોલીસ દ્વારા યુવાનની ઓળખવિધિના ચક્રો ગતિમાન કરી દીધા છે.

(5:44 pm IST)