Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદ : પાસ કન્‍વીનરો વચ્‍ચે અંદરો અંદર ડખ્‍ખો : હાર્દિક પટેલ બેઠક છોડી થયો રવાના

રાજદ્રોહના કેસમાં અલ્‍પેશ કથિરાયા અત્‍યારે જેલમાં બંધ છે જેની મુક્‍તિ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્‍વીનરોની અમદાવાદના સોલા ખાતે મળી હતી

અમદાવાદ તા. ૨૦ : રાજદ્રોહના કેસમાં અલ્‍પેશ કથિરાયા અત્‍યારે જેલમાં બંધ છે જેની મુક્‍તિ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્‍વીનરોની અમદાવાદના સોલા ખાતે મળી હતી. જોકે, પાટીદારોની મળેલી બેઠકમાં હોબાળો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે પાટીદારો વચ્‍ચે અંદરો અંદર ડખો થયો હતો. દિનેશ બાંભણિયાને અન્‍ય એક પાટીદાર કન્‍વીનર વચ્‍ચે બોલાચાલી થઇ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્‍યું હતું. પાટીદારો વચ્‍ચે થયેલી બોલાચાલીના પગલે મીટિંગને સમેટી લેવાઇ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલા ખાતેની હોટલમાં આજે સોમવારે પાટીદાર યુવક અલ્‍પેશ કથિરિયાની જેલમુક્‍તિ માટે પાટીદાર અનામત આંદોલનના કન્‍વીનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાસ કન્‍વીનર અતુલ પટેલ, દિનેશ બાંભણિયા, નરેન્‍દ્ર પટેલ ઉપરાંત હાર્દિક પટેલ પણ મિટિંગમાં હાજર રહ્યો હતો. જોકે, દિનેશના બોલાવ્‍યા છતાં હાર્દિક પટેલ સ્‍ટેજ ઉપર આગળ આવ્‍યો નહતો. પાસ કન્‍વીનરો વચ્‍ચે અંદરો અંદર હોબાળો થતાં હાર્દિક પટેલ બેઠક છોડીને રવાના થઇ ગયો હતો. સાથે સાથે અન્‍ય પાસ કન્‍વીનરો પણ બેઠક છોડીને જતા રહ્યા હતા.

હાર્દિક પટેલના જણાવ્‍યા પ્રમાણે અલ્‍પેશ કથિરિયાની જેલ મુક્‍તિ માટે અમે ટેકો આપીશું. આગામી ૨૨મીએ અલ્‍પેશની મુદ્દત છે તો જરૂરી નહીં કે ૨૬મીએ રેલી કરીએ. આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે હોટલના માલિકે અમને બહાર કાઢ્‍યા હતા. ૨૬મીએ અલ્‍પેશ માટે મૌન રેલી કઢાશે.

દિનેશ બાંભણિયાના જણાવ્‍યા પ્રમાણે બધાવ્‍યક્‍તિ વર્ચસ્‍વ લડાઈમાં રસ્‍તા ચુક્‍યા છે. અલ્‍પેશ ઉપર બીજા પણ કેસો છે. જો જામીન મળશે તો પણ ફરીથી ધરપકડ થશે.

બીજી તરફ અમદાવાદના સોલા ખાતે હોટલમાં પાસ કન્‍વીનરોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હોટલ માલિકે લાઇટ બંધ કરી દેતા હોબાળો થયાની વાત પણ બહાર આવી છે. હોટલ સ્‍ટાફ અને પાટીદારો વચ્‍ચે બોલાચાલી પણ થઇ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

(12:01 pm IST)