Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

નોબલનગર પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી

ત્રણ દિવસ પહેલાં હત્યા કરાઇ હોવાની આશંકા : કોહવાઇ ગયેલી લાશને લઇ પોલીસે તપાસનો ધમધમાટ

અમદાવાદ, તા.૧૯ : શહેરના નોબલનગર વિસ્તારમાં નંદીગ્રામ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલ નજીક ઝાડી-ઝાંખરામાંથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સરદારનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નોબલનગર વિસ્તારમાં નંદીગ્રામ સોસાયટી પાસે નાલંદા સ્કૂલ નજીકની અવાવરૂ ઝાડ-ઝાંખરામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક યુવકની લાશ પડી રહી હોઇ તેની દુર્ગંધને લઇ કોઇકનું ધ્યાન જતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ત્યાં દોડી આવી તપાસ કરી તો, લાશ કોઇ યુવકની અને હત્યા કરી ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, યુવકની લાશ કોહવાયેલી હાલતમાં હતી અને ત્રણેક દિવસ જૂની લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. પોલસે હવે સમગ્ર પ્રકરણમાં એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવકના શરીર પર ગંભીર ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે હવે યુવકની હત્યા કારણસર કરવામાં આવી અને તેમાં કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે તે સહિતના મામલે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. જો કે, યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવવાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:39 pm IST)