Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અનોખો અભિગમ:બેઠકમાં એકસાથે 40 હજારથી વધુ કાર્યકર્તાઓને આપશે મહત્વનું માર્ગદર્શન

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અલગ અલગ જગ્યાએ એક સમયે એક સાથે બેઠક યોજાશે : રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે ઐતિહાસિક બેઠક યોજાશે

 

અમદાવાદ : રાજયમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. પરિણામે કેસોમાં ઘટાડો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે જ મેળાવડા નહિ કરવા અને તેમાં હાજર સંખ્યા અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નવો અભિગમ અપનાવ્યો છે.

આવતીકાલે તારીખ 20 જાન્યુઆરી 2022ના રોજ રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે ઐતિહાસિક બેઠક યોજાવાની છે. પરંતુ કોરોનાની ગાઇડલાઈન પ્રમાણે આ બેઠક ગુજરાત પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ એક જ સમયે એક સાથે યોજવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો , સાંસદ, નગરપાલિકા/જીલ્લા પંચાયતના પ્રમુખો / સભ્યોના વિશેષ માર્ગદર્શન હેઠળ આ બેઠક બપોરે 12.15 કલાકે શરૂ થશે અને આશરે બે કલાક સુધી ચાલશે. આ બેઠકમાં અંદાજીત 40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે.

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત વિઘાનસભામાં 182 બેઠકો જીતવા જે પેજ સમિતિનું શસ્ત્ર આપ્યુ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. પેજ સમિતિને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે તેમજ બાકી રહેલ પેજ સમિતિને ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ કેવી રીતે જન જન સુધી પહોંચાડવી. આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સંગઠનને વધુ મજબૂત કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવશે. કોરોનાની સંપુર્ણ ગાઇડલાઇન સાથે ગુજરાતમાં એક સાથે એક સમયે 579 સ્થળો પર બેઠક યોજાશે.

આ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે જે વિકાસની રાજનીતી શરૂ કરી છે અને જે રીતે ન માત્ર દેશમાં પણ વિશ્વ લેવલે ગુજરાત મોડલને રજૂ કર્યુ છે ત્યારથી લઇ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેના નેતૃત્વમાં ગુજરાત કઇ રીતે વિકાસની હરણફાણ ભરી રહ્યુ છે તેમજ કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ભારતને અડીખમ રાખનાર અને આત્મનિર્ભર ભારતની સાથે નવા ભારતની ઓળખ જે રીતે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરી છે તે માહિતી પ્રજા સમક્ષ કેવી રીતે લઇ જવી તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.

(11:05 pm IST)