Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ઝુપડપટ્ટીને નિશાન બનાવી તસ્કરોએ 76 હજારની મતાની ઉઠાંતરી કરતા ચકચાર

વડોદરા:શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી શંકરનગર ઝુપડપટ્ટીમાં છાપરા વાટે બંધ મકાનમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહિત 76 હજારની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ સયાજીગંજ પોલીસ મથકના  ચોપડે નોંધાયો છે.

મૂળ પંચમહાલ ના રહેવાસી અને હાલમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી શંકર નગર ઝૂપડપટ્ટીમાં રહેતા દિલીપભાઈ સોમસિંહ પરમાર તરસાલી ખાતે નાસ્તાની લારી ધરાવે છે. તેઓ પોતાના મકાનને તાળું મારીને તરસાલી ખાતે આવેલી તેમની નાસ્તાની લારી ખાતે વેપાર કરી રાત્રી રોકાણ કરતા હતા.

દરમિયાન ગઈકાલે તેમની ભાણીએ મકાનનું તાળું ખોલી ઘરમાં પ્રવેશતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું મકાનના છાપરાનું પતરૂ ખસેડી ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર સામાન વેરવિખેર કરી એલઇડી ટીવી, સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની કડી, ચાંદીના છડા તથા રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 76 હજારની મત્તા ચોરી નાસી છૂટયો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:20 pm IST)