Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમદાવાદના ખૉખરાના ગૌરાંગ મકવાણાની ચપ્પાના ઘા ઝીંકી કરપીણ હત્યા

ત્રણ દિવસ પહેલા જ નોકરીએ લાગેલા ગૌરાંગને કોઈ અજાણ્યો શખ્સ બોલાવી ગયા બાદ બોલાચાલી થતા રહેંસી નાખ્યો

અમદાવાદ:શહેરમાં ઉત્તરાયણના દિવસે અસારવા અને ફતેહવાડીમાં થયેલી બે લોકોની હત્યાનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યા ખોખરા વિસ્તારમાં રહેતા એક યુવકની ચપ્પાના ઘા ઝીંકીને કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા શખ્સોએ યુવકને ઘરેથી બોલાવીને કરપીણ હત્યા કરી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.

 જાણવા મળતી વિગત મુજબ ખોખરામાં આવેલ કાશીબા નગરમાં ૨૬ વર્ષીય ગૌરાંગ રતિલાલ મકવાણા તેના માતા-પિતા અને બે ભાઈઓ સાથે રહેતો હતો અને ત્રણ દિવસ પહેલા નોકરી લાગ્યો હતો. ગૌરાંગે એક યુવતિ સાથે પ્રેન લગ્ન કર્યા બાદ તેને છૂટાછેડા આપી દીધા હતા આજે વહેલી સવારે ગૌરાંગને અજાણ્યો શખ્સ બોલાવવા માટે ઘરે આવ્યો હતો. સાડા પાંચ વાગ્યાની આસપાસ ગૌરાંગ તેની સાથે હાટકેશ્વર સર્કલ પાસે આવેલ કેસી ચાની કીટલીએ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થતા યુવકે ગૌરાંગને ચપ્પાના ઘા ઝીંકી દીધી હતા અને ફરાર થઈ ગયો હતો.

    ગૌરાંગને ચપ્પાના બે ઘા વાગતા તેને ૧૦૮ એમ્બુલન્સ સેવા મારફતે સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયો હતો.ગૌરાંગના પરિવારજનોને આ ઘટના અંગે જાણ થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં લોહીથી લથપથ હાલતમાં ગૌરાંગને જોઈ તેના પરિવારજનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. ગૌરાંગ કાંઈ કહે તે પહેલા તબીબોએ તેની સારવાર ચાલુ કરી દીધી હતી જ્યાં સારવાર દરમિયાન તેનુ કરુણ મોત નિપજ્યુ હતું. હાલ ખોખરા પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(11:06 pm IST)