Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

આમ આદમી પાર્ટીની વધશે મુશ્કેલી:દેશભરના 57 સનદી ઓફિસરોએ માન્યતા રદ કરવા ચૂંટણી પંચને લખ્યો પત્ર

રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપેલા નિવેદનથી સનદી અધિકારીઓ નારાજ

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. 57 જેટલા પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણીપંચને આ અંગે રજૂઆત કરી છે. રાજકોટમાં થયેલી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સના આધારે આ રજૂઆત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટી માટે કામ કરવા નિવેદન કર્યુ હતુ. આ નિવેદન સનદી સેવાઓના નિયમોના ભંગ સમાન હોવાથી આ રજૂઆત કરવામાં આવી છે. 57 સનદી અધિકારીઓએ ચૂંટણીપંચને પત્ર લખી આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ કરી છે. જેમાં સનદી સેવાઓના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરાઈ છે.

અરવિંદ કેજરીવાલ જ્યારે રાજકોટની મુલાકાતે હતા, ત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર સનદી અધિકારીઓને પોતાના માટે કામ કરવા જણાવ્યુ હતુ. જેને લઈને સમગ્ર દેશમાંથી અલગ અલગ સનદી અધિકારીઓએ ચૂંટણીપંચને આ પત્ર લખ્યો છે. હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે અને દરેક રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી વધી શકે છે. આ 57 અધિકારીઓમાં કેટલાક નિવૃત અધિકારીઓ પણ છે.

દેશના જૂદા જૂદા રાજ્યોમાંથી અધિકારીઓએ ચૂંટણીપંચને પત્ર લખ્યો છે. જેમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના રાજ્યોમાંથી ચૂંટણી આયોગને પત્ર લખવામાં આવ્યો છે. સમગ્ર મામલો હાલ ચૂંટણી પંચમાં પહોંચ્યો છે. સમાન રીતે આ પ્રકારની રજૂઆત કે ફરિયાદ આવતી હોય છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જેતે પાર્ટીને એક નોટિસ પાર્ટીને ઈશ્યુ કરવામાં આવતી હોય છે. જેમાં જે નિવેદન પર વિવાદ હોય છે તે નિવેદન મગાવી ચૂંટણી પંચ કાર્યવાહી કરતુ હોય છે.

પ્રથમવાર એવુ બન્યુ છે કે સમગ્ર દેશના સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ કરતો પત્ર લખ્યો છે. જેને લઈને આપની મુશ્કેલી ચોક્કસ વધી શકે છે.

(12:59 pm IST)