Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઓક્‍ટો.થી બુલેટ ટ્રેનનું કામ શરૂ : અનેક ટ્રેનો વટવા અને સાબરમતી સુધી જ આવશે

રાજકોટ અને ભુજ તરફ જતી ટ્રેનો સાબરમતી અથવા અમદાવાદ સ્‍ટેશન પર નહીં જાય, તેને ખોડિયાર અને અંબાલી સ્‍ટેશન્‍સથી વિરમગામ ડાયવર્ટ કરવામાં આવશે : ઉત્તર ભારતથી સૌરાષ્ટ્ર જતા પેસેન્‍જર્સનો લગભગ ૯૦ મિનિટ સમય આનાથી બચશે

અમદાવાદ તા. ૧૬ : ઓક્‍ટોબર અને ડિસેમ્‍બર દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટનું કામ શરુ થઈ જશે, ત્‍યારે ભારતીય રેલવે દ્વારા રુટ્‍સનો પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. બુલેટ ટ્રેનના કામકાજને કારણે રસ્‍તાઓ પર ઉભા થયેલા મોટા બ્‍લોકેજને દુર કરવા માટે ભારતીય રેલવે દ્વારા પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે.

રેલવે દ્વારા ટ્રેનોને વટવા અને સાબરમતી સ્‍ટેશન્‍સ પર અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. ઉત્તરભારતથી આવતી ટ્રેનો અને રાજકોટ અને ભુજ તરફ જતી ટ્રેનો સાબરમતી અથવા અમદાવાદ સ્‍ટેશન પર નહીં જાય, તેને ખોડિયાર અને અંબાલી સ્‍ટેશન્‍સથી વિરમગામ ડાયવર્ટ કરવામાં આવશે. ઉત્તર ભારતથી સૌરાષ્ટ્ર જતા પેસેન્‍જર્સનો લગભગ ૯૦ મિનિટ સમય આનાથી બચશે.

અમદાવાદ સ્‍ટેશન પરના પ્‍લેટફોર્મ નંબર નવ અને દસ પરથી ઉપડતી ટ્રેનોમાં પણ ફેરફાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, પ્‍લેટફોર્મ નંબર ૧૦ પરથી ઉપડતી રાજધાની એક્‍સપ્રેસ હવે બીજા પ્‍લેટફોર્મ પરથી ઉપડશે. ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ કુમારે જણાવ્‍યું કે, અમુક ટેક્‍નિકલ ઈશ્‍યુને કારણે પ્‍લેટફોર્મ નંબર ૮નો ઉપયોગ નહોતો કરવામાં આવતો. અત્‍યારે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહ્યો છે, પછી તે કાર્યરત કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્‍યું કે, આબુ રોડ અને ઉત્તર ભારતથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનો સાબરમતી અટકી જશે. આ નવી વ્‍યવસ્‍થાને કારણે લગભગ ૧૫ જેટલી ટ્રેનો કાલુપુર રેલવે સ્‍ટેશન સુધી નહી પહોંચે. કુમારે જણાવ્‍યું કે, ટ્રેનો કેન્‍સલ કરવાના બદલે અમદાવાદ શહેરના નજીકના કોઈ સ્‍ટેશન પર તેને ડાયવર્ટ કરવામાં આવે તો લોકોને તકલીફ ઓછી પડે.

 

(10:28 am IST)