Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

દિવ્યાંગ દીકરાને વતન પહોંચાડવા માટે પિતાએ સાઇકલ ચોરી:પત્રમાં લખ્યું- 'માફ કરજો, મજૂર છું અને મજબૂર પણ...'

બરેલીના મોહમ્મદ ઇકબાલે ચીઠ્ઠી લખીને માફી માંગી :ચીઠ્ઠી વાંચીને સાઇકલ માલિકની આંખો ભરાઈ ગઈ

ભરતપુર : સંતાન પર આવી પડેલા દુઃખને દૂર કરવા માટે પિતા કંઈ પણ કરી છૂટતો હોય છે. સંતાનના દુઃખથી દુઃથી થઈને આવા જ એક પિતાએ એક સાઇકલની ચોરી કરી છે. સાઇકલની ચોરી કર્યા બાદ પિતાએ ત્યાં એક ચીઠ્ઠી મૂકી હતી. આ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, "હું તમારો ગુનેગાર છું. માફી આપજો." બરેલીના મોહમ્મદ ઇકબાલે ખૂબ જ મુશ્કેલની ઘડીમાં સાહબસિંહને એક પત્ર લખ્યો છે. મોહમ્મદના આ પત્રને માનવતાની એક મિસાલ તરીકે ઇતિહાસના પાનામાં સ્થાન મળશે તે ચોક્કસ છે.
મોહમ્મદ ઇકબાલે પોતાના દિવ્યાંગ પુત્ર માટે ભરતપુરના રારહમાંથી એક સાઇકલની ચોરી કરી હતી. સાઇકલ ચોરી કરતી વખતે તેણે માલિકના નામે એક પત્ર છોડ્યો હતો. આ પત્રની શરૂઆતમાં લખ્યું હતું કે, "હું તમારો ગુનેગાર છું. હું એક મજૂર છું અને મજબૂર પણ. હું તમારી સાઇકલ લઈને જઈ રહ્યો છું. મને માફ કરી દેજો. મારી પાસે કોઈ સાધન નથી. મારે મારા દીકરાને લઈને બરેલી પહેંચવાનું છે." રારહ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરહદ પાસેનો વિસ્તાર છે. અહીં દરરોજ લાખોની સંખ્યામાં મજૂરો ઉત્તર પ્રદેશ તરફ પલાયન કરે છે. ભારતપુરના રારહની નજીક આવેલા સહનાવલી નિવાસી સાહબસિંહની સાઇકલ બુધવારે રાત્રે ચોરી થઈ ગઈ હતી. સાહબસિંહને ખૂબ શોધખોળ બાદ પણ સાઇકલ મળી ન હતી. બીજા દિવસે ઝાડૂ લગાવતી વખતે તેમને એક કાગળનો ટૂકડો મળ્યો હતો.
આ પત્ર મોહમ્મદ ઇકબાલે લખ્યો હતો. આ પત્ર વાંચીને સાહબસિંહની આંખો ભરાઈ ગઈ હતી. તેમના કહેવા પ્રમાણે સાઇકલ ચોરાયા બાદ જે ગુસ્સો હતો તે આ પત્ર વાંચીને શાંત થઈ ગયો છે. "હવે મારા મનમાં સાઇકલની ચોરી કરનાર ઇકબાલ પ્રત્યે કોઈ દ્વેષ નથી. મને માલુમ પડી ગયું છે કે મજબૂરીને કારણે તેણે આવું કામ કર્યું છે. બાકી સાઇકલની બાજુમાં બીજી ઘણી કિંમતી વસ્તુઓ પડી હતી. આ તમામ વસ્તુઓ સલામત છે."

(1:32 pm IST)