Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મણિનગરમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૨૩૮ મો પ્રાગટ્યોત્સવ પરમોલ્લાસભેર ઊજવાયો

ચૈત્ર સુદ નોમ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય શુભ દિન. આજના સપરમા દિવસે ઉત્તરપ્રદેશમાં અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત ૧૮૩૭ ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી, તારીખ ૨-૪-૧૭૮૧ ને સોમવારના રાત્રે દશ ઘડી જતાં પ્રગટ થયા હતા. પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિમાતા હતું. બાળપણમાં તેમણે કાલીદત્ત, કૌશિકદત્ત, રામદત્ત વગેરે અસુરોનો નાશ કર્યો. ત્યારબાદ માત્ર ૧૧ વર્ષની કુમળીવયે સંસારનો ત્યાગ કરીને ૭ વર્ષ ૧ માસ અને ૧૧ દિવસ સુધી ઓન ફૂટ – પગપાળા તીર્થાટન કરતા કરતા સમગ્ર ભારતમાં આશરે ૧૨,૦૦૦ કિલોમીટરની યાત્રા કરીને તીર્થોને તીર્થત્વ, સંતો –ઋષિઓને તપનું ફળ આપ્યું. ત્યારે તેઓ શ્રી નીલકંઠ વર્ણી તરીકે સુપ્રસિદ્ધ હતા.

પીપલાણા, સૌરાષ્ટ્ર – ગુજરાતમાં સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ ભાગવતી મહાદિક્ષા અને ઉત્તરદાયીત્વ સોંપ્યું. અજોડ બે વરદાનો માગ્યા. રામાનંદ સ્વામીના અંતર્ધાન બાદ ચૌદમાના  દિને શ્રી સહજાનંદ સ્વામીએ પોતાનું સર્વોપરી એવું “સ્વામિનારાયણ” નામનો પ્રકાશ કર્યો. અને અનેક પ્રૌઢ પ્રતાપ આ નામથી જણવ્યો. ત્યારથી સહુ સંતો – ભક્તો સ્વામિનારાયણ નામનું ભજન – સ્મરણ કરવા લાગ્યા અને તે સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાયે વિશ્વમાં પ્રસિદ્ધિને પામ્યો. અને ત્યારપછી સહજાનંદ સ્વામીને સૌ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખવા લાગ્યા.

૨૮ વર્ષના ટૂંકા સમયગાળામાં હજ્જારો સંતો, લાખ્ખો હરિભક્તો તેઓશ્રીના અનુયાયીઓ હતા. મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ, રાજવીઓ, અમલદારો પણ આશ્રિતો બન્યા હતા. જનસમાજમાં નીચલા થરને પણ વ્યસનમુક્ત બનાવી સમાજમાં સારું સ્થાન આપ્યું હતું. અનેકવિધ રચનાત્મક સામાજિક, શૈક્ષણિક વગેરે કર્યો કરી સમાજમાં દિવ્ય ક્રાંતિ આણી હતી. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગિજીવન આદિ અનેક સત્શાસ્ત્રોની રચના કરી હતી.  ગામો ગામ અને શહેરો- શહેરમાં માણસોના જીવન ઘડતર માટે મંદિરો બનાવ્યા અને પોતાના આધ્યાત્મિક વારસદારો – સાર્વભૌમ નાદવંશ પરંપરાના આચાર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્ય મહોદધિ આચાર્ય               શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો અખંડ વારસો આપ્યો. આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર ૨૮ વર્ષના ટૂંકા સમયમાં સમાજને સદાચારી, સુવિચારી બનાવી રોનક બદલી નાખી છે.  

આવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં આ ધરા પર પધાર્યા અને આપણને તેમનો અનન્ય આશરો થયો માટે આપણા ભાગ્યનો પર નથી. આપણે ખરેખર ધન્યાતીત થઇ ગયા છીએ. તેમના ૨૩૮ મા પ્રાગટ્યોત્સવ અવસરે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં ૨૪ કલાકની અખંડ ધૂન, પ્રાગટ્યોત્સવ પર્વની ઉજવણી વગેરે અવિસ્મરણીય પ્રસંગો માણવા દેશવિદેશમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ પરદેશના તે તે          શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં અખંડ ધૂન અને પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

 

(12:21 pm IST)